PM Modi in Kerala : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં જનસાભા ગજવી મધ્ય-પૂર્વ યુદ્ધ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોંગ્રેસ પર દેશની અંતર અફવા ફેલાવવાનો અને રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘પશ્ચિમ એશિયામાં આજે જે કંઈ થઈ રહ્યું છે, તેની તમામને ચિંતા હોવી સ્વાભાવિક છે. આપણા લાખો ભાઈ-બહેનો ત્યાં કામ કરે છે. તમે યાદ રાખજો કે દેશમાં આજે ભાજપ-એનડીએની સરકાર છે. જ્યારે પણ આપણા નાગરિકો સંકટમાં પડે છે, તો તેમને સુરક્ષિત બચાવવા માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા છે.’
કોંગ્રેસ દેશની સ્થિતિ બગાડવા ઇચ્છે છે : PM મોદી
વડાપ્રધાને કહ્યું કે, ‘અત્યંત કમનસીબ વાત એ છે કે, વિશ્વમાં સૌથી મોટું સંકટ ચાલી રહ્યું છે, જેમાં કોંગ્રેસ રાજકારણ શોધી રહી છે. કોંગ્રેસ દેશની સ્થિતિ બગાડવા માંગે છે અને ત્યાંના સંકટમાં ફસાયેલા આપણા નાગરિકોની મુશ્કેલી વધારવા માંગે છે. આ જ કારણે તેઓ જાણીજોઈને બિનજવાબદાર અને ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યા છે. આ લોકો આવું કરીને મોદીને ગાળો આપતી રીલ બનાવવાનું અભિયાન શરૂ કરવા માંગે છે. આ જ તેમનો ખેલ છે. મને સંતોષ છે કે, આપણા મિત્ર ગલ્ફ દેશોની સરકારો આપણા નાગિરકોનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે.’
આ પણ વાંચો : ‘દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
કોંગ્રેસ-ડાબેરીઓ અફવા ફેલાવવામાં વ્યસ્ત : વડાપ્રધાન
તેમણે આક્ષેપ કર્યો કે, ‘કોંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓ દેશની અંદર અફવા ફેલાવવામાં વ્યસ્ત થઈ ગઈ છે. કોંગ્રેસ અને ડાબેરી અને તેઓનું ઈકોસિસ્ટમ યુદ્ધ ટાણે દેશમાં ડર ઊભો કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. હું દેશના નાગરિકોને કહું છું કે, કોંગ્રેસ-ડાબેરી દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓથી સાવધાન રહે, સાવચેત રહે.’
‘કોંગ્રેસે દેશને વિદેશી દેશો પર નિર્ભર બનાવ્યો’
વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધન કરતી વખતે ફરી આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘એકતરફ ભાજપ-એનડીએ દેશને આત્મનિર્ભર બનાવવાનું કામ કરી રહી છે, તો બીજીતરફ કોંગ્રેસ અને ડાબેરીના લોકો આત્મનિર્ભર ભારતની મજાક ઉડાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ અને ડાબેરી બંનેએ મળીને સરકાર ચલાવી છે. તેમણે દેશને વિદેશી વસ્તુઓ પર વધુ નિર્ભર બનાવ્યું છે. વર્તમાન સંકટે ફરી આત્મનિર્ભર બનાવવાના મહત્ત્વને ઉજાગર કર્યો છે. સરકારે અન્ય દેશોના ઊર્જા પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે અનેક મોટા પગલા ભર્યા છે. અમે અમારી સોલાર એનર્જી ક્ષમતામાં વધારો કર્યો છે. કેરળમાં પણ સોલાર પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. પેટ્રોલ અને ડિઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.’
ઉલ્લેખનીય છે કે, કેરળમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. કેરળ વિધાનસભાનો કાર્યકાળ 23 મે 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની સંભાવના છે.
આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી















