Non-Agricultural Use in Ahmedabad and Gandhinagar: અમદાવાદ અને ગાંધીનગરને ચારેય તરફથી વિસ્તૃત કરી વિવિધ પ્રોજેક્ટના આયોજનો કરાઈ રહ્યા છે. ત્યારે બંને જિલ્લામાં જમીનોના ભાવ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ અને યોગ્ય સહાય ન મળતા ખેતીની જમીનો વેચવા માંડ્યા છે. તેવામાં અમદાવાદ અને ગાંધીનગરમાં જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ખેતીની 13,127 જમીન બિન ખેતીમાં ફેરવવામાં આવી હતી.
શહેરી અને ઔદ્યોગિકીકરણ તરફની આંધળી દોટ
દર વર્ષે રહેણાંક, ઔદ્યોગિક સહિતના બાંધકામો માટે મોટા પાયે ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવી દેવાય છે. ત્યારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર, છેલ્લાં બે વર્ષમાં ખેતીની જમીન બિન ખેતી કરવા માટે અમદાવાદ જિલ્લામાંથી 17,341 અને ગાંધીનગરમાંથી 9450 અરજીઓ આવી હતી. જે પૈકી અમદાવાદમાં 9070, જ્યારે ગાંધીનગરમાં 4097 અરજી મંજૂર કરી કુલ 13,127 જમીન બિન ખેતીમાં ફેરવી દેવાઈ હતી.

સેમિકોન હબ સહિત સાણંદમાં ચાલતા વિવિધ ઔદ્યોગિક પ્રોજેક્ટના લીધે સૌથી વધુ 2409 જમીન સાણંદમાં બિન ખેતી કરાઈ હતી. સ્માર્ટ સિટી ધોલેરા જેવા વિવિધ આયોજનોના પગલે ધોલેરામાં 1220 જમીન બિન ખેતીમાં ફેરવી દેવાઈ હતી. જ્યારે ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ ગાંધીનગર શહેરમાંથી આવેલી બિન ખેતીની 2274 અરજી મંજૂર કરાઈ હતી.















