Bitcoin Emerges as Top Safe Haven in Global Crisis : ઈરાન યુદ્ધને લીધે હાલમાં વિશ્વભરના નાણાકીય બજારોમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. ખાસ કરીને ઓઇલ પુરવઠા વિશેની ચિંતા વધતા એનર્જી માર્કેટમાં મોટા ઝાટકા જોવા મળ્યા છે. આ અસર સીધી રીતે શેરબજારો અને અન્ય રોકાણ ક્ષેત્રોમાં પણ દેખાઈ છે. યુદ્ધ કે જિયોપોલિટિકલ (ભૂરાજકીય) તણાવ વધે ત્યારે સામાન્ય રીતે રોકાણકારો જોખમી સંપત્તિઓમાંથી નાણાં કાઢી લેતા હોય છે. શેરબજારોમાં પણ વેચવાલી વધી જતી હોય છે અને લોકો એવી સંપત્તિ શોધવા લાગે છે જેને સેફ હેવન માનવામાં આવે છે. સામાન્ય રીતે આ ભૂમિકા સોનું અને યુએસ ડૉલર ભજવતા આવ્યા છે, પરંતુ આ વખતે બજારમાં એક અનોખો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ચાલો જાણીએ.
પરંપરાગત સલામત સંપત્તિ: સોનું અને ડૉલર
વૈશ્વિક સંકટ કે યુદ્ધની પરિસ્થિતિમાં વર્ષોથી સોનાને સૌથી વિશ્વસનીય રોકાણ માનવામાં આવ્યું છે કારણ કે, સોનાની કિંમત લાંબા ગાળે સ્થિર રહે છે અને કેન્દ્રીય બૅંકો પણ મોટા પ્રમાણમાં સોનાના ભંડાર રાખે છે. એ જ રીતે યુએસ ડૉલર પણ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાનો મુખ્ય આધાર છે. વિશ્વનો મોટા ભાગના વેપાર અને નાણાકીય વ્યવહાર ડૉલરમાં થાય છે. તેથી સંકટ વખતે રોકાણકારો ડૉલર તરફ વળે છે. પરંતુ તાજેતરના ઈરાન સંઘર્ષમાં એક બીજી સંપત્તિએ આ બંનેને પાછળ છોડી દીધી છે.

ઈરાન સંઘર્ષ વખતે બિટકોઇનમાં તેજી
28 ફેબ્રુઆરી પછી શરૂ થયેલા સંઘર્ષ બાદ બિટકોઇનના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેની કિંમત $72,000થી પણ ઉપર પહોંચી ગઈ. (એક તબક્કે તો $74,000 નજીક સુધી પહોંચી હતી.) આ સમયગાળામાં બિટકોઇનની કિંમતમાં લગભગ 10% જેટલો વધારો નોંધાયો. આશ્ચર્યજનક બાબત એ છે કે આ વધારાએ સોનું, યુએસ ડૉલર અને ઘણાં મોટા શેરબજાર સૂચકાંકો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું.
કેમ રોકાણકારો બિટકોઇન તરફ વળે છે?
કેટલાક નાણાકીય નિષ્ણાતોના મત અનુસાર, આ પરિવર્તન પાછળ કેટલાક મહત્ત્વપૂર્ણ કારણો છે.
1. સરહદ વિના ટ્રાન્સફર કરવાની ક્ષમતા: બિટકોઇન એક ડિજિટલ સંપત્તિ છે. તેને કોઈ પણ દેશમાંથી કોઈ પણ દેશમાં તરત જ ટ્રાન્સફર કરી શકાય છે. એમ કરવામાં બૅંક અથવા સરકારની સીધી જરૂર પડતી નથી.
2. મૂડી નિયંત્રણોથી મુક્તિ: કેટલાક દેશોમાં સંકટ દરમિયાન સરકારો નાણાંની હિલચાલ પર નિયંત્રણ મૂકી શકે છે, પરંતુ બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી આ મર્યાદાઓને ઘણી વખત પાર કરી શકે છે.
3. 24/7 ટ્રેડિંગ: પરંપરાગત બજારો દિવસના ચોક્કસ સમયમાં જ ખુલ્લા હોય છે, જ્યારે બિટકોઇન બજાર 24 કલાક અને 7 દિવસ ચાલે છે. એટલે વૈશ્વિક ઘટનાઓ પર રોકાણકારો તરત પ્રતિક્રિયા આપી શકે છે.
4. સંસ્થાકીય રોકાણમાં વધારો: તાજેતરમાં બિટકોઇન સાથે જોડાયેલા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં $1.1 બિલિયનથી વધુ નાણાંનો પ્રવાહ નોંધાયો છે, જે દર્શાવે છે કે મોટા સંસ્થાકીય રોકાણકારો પણ હવે ક્રિપ્ટોકરન્સી તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે.

શું બિટકોઇન ખરેખર ‘સેફ હેવન’ છે?
આ સવાલનો જવાબ અનેક નિષ્ણાતો જુદી જુદી રીતે આપે છે, પરંતુ કેટલાક વિશ્લેષકો માને છે કે બિટકોઇન હવે ધીમે ધીમે ‘ડિજિટલ સેફ હેવન’ તરીકે ઉભરી રહ્યું છે. કારણ કે…
– તેને જપ્ત કરવું મુશ્કેલ છે
– બૅંકિંગ સિસ્ટમ પર આધાર નથી
– વૈશ્વિક સ્તરે ઝડપથી ટ્રાન્સફર થઈ શકે છે
જો કે, ઘણાં નિષ્ણાતો હજુ પણ તેને જોખમી સંપત્તિ તરીકે જ જુએ છે. એનું એક મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે કેન્દ્રીય બૅંકો બિટકોઇનને પોતાના રિઝર્વ તરીકે સ્વીકારતી નથી, જ્યારે સોનું આજે પણ મોટા પ્રમાણમાં સંગ્રહવામાં આવે છે.
બિટકોઇન ‘સેફ હેવન’ નહીં, ‘શરતી હેજ’ હોવાનો મત
ગત વર્ષોના ડેટા પણ રસપ્રદ છે. જ્યારે વિશ્વમાં મોટા સંકટ સર્જાય છે- જેમ કે, નજીકના ભૂતકાળના રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ અને કોવિડ-19 મહામારી, ત્યારે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમ વધતો જોવા મળ્યો છે. આથી કેટલાક વિશ્લેષકો કહે છે કે બિટકોઇન ક્યારેક ‘સેફ હેવન’ નહીં, પણ ‘શરતી હેજ’ (conditional hedge) તરીકે કામ કરે છે. શરતી હેજ એટલે એવી સંપત્તિ કે રોકાણ સાધન જે દરેક સમયે નહીં, પરંતુ કેટલાક ચોક્કસ સંજોગોમાં નુકસાન સામે રક્ષણ આપે.
સોનાની કિંમત કેમ સ્થિર રહી, જાણો મુખ્ય બે કારણ
ઈરાન યુદ્ધ વખતે સોનામાં ખૂબ મોટી તેજી જોવા મળી નથી. એના બે કારણો છે. પહેલું કારણ મજબૂત બનેલો યુએસ ડૉલર છે. ડૉલર મજબૂત બને છે ત્યારે અન્ય ચલણ વાપરતા ખરીદદારો માટે સોનું વધુ મોંઘું બને છે. તેથી માંગ ઘટે છે. તો બીજું કારણ ફુગાવો છે. યુદ્ધને કારણે તેલના ભાવ વધે છે, જેના કારણે મોંઘવારી વધે છે. આવી સ્થિતિમાં જો વ્યાજદર ઊંચા રહેવાની સંભાવના હોય, તો રોકાણકારો સોનાની બદલે અન્ય રોકાણ વિકલ્પ પસંદ કરી શકે છે.
વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં બદલાતી માનસિકતા
હાલની પરિસ્થિતિ એક મહત્ત્વપૂર્ણ સંકેત આપે છે કે, રોકાણકારોની માનસિકતા બદલાઈ રહી છે. કેટલાક લોકો હવે ‘સોના’ જેવી પરંપરાગત સંપત્તિ સાથે ડિજિટલ સંપત્તિઓને પણ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી રહ્યા છે. અલબત્ત, બિટકોઇન હજુ સંપૂર્ણપણે ‘સેફ હેવન’ તરીકે સ્વીકારાયું નથી. તેની કિંમતોમાં હજુ પણ ઊંચી અસ્થિરતા રહે છે. આમ છતાં, વૈશ્વિક સંકટના સમયમાં તે રોકાણકારો માટે એક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે.















