![]()
Ahmedabad Crime Branch Solves 2021 Raipur Case: છત્તીસગઢના રાયપુરમાં વર્ષ 2021માં બનેલી ચકચારી લૂંટ અને હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. રાયપુરથી ભાગીને છેલ્લા બે વર્ષથી અમદાવાદના નરોડા વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહેતા મુખ્ય આરોપી અજયકુમાર મિશ્રાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસની ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ પકડાવવાથી બચવા માટે વર્ષો સુધી મોબાઈલ ફોન કે કોઈ પણ ઓળખપત્રનો ઉપયોગ કર્યો નહોતો.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, આ હત્યા કેસની પાછળ મિલકત વિવાદ અને સોપારીનું વિચિત્ર કનેક્શન બહાર આવ્યું છે. રાયપુરના ટીકરાપાડા વિસ્તારમાં રહેતા શકુંતલા યાદવને તેમના મોટા દીકરા અજય યાદવ સાથે મિલકત બાબતે વિવાદ હતો. જેને લઈને શકુંતલાબેન અને તેમના નાના દીકરા અમિતે અજયને રસ્તેથી હટાવવાનું નક્કી કર્યું.
અમિત યાદવે પોતાની સાથે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અજયકુમાર મિશ્રા ઉર્ફે લક્ષ્મીસાગરને 4 લાખ રૂપિયામાં અજય યાદવની હત્યાની સોપારી આપી હતી. જોકે, આરોપી 1 લાખ રૂપિયા એડવાન્સ લઈને વતન ભાગી ગયો હતો.
આ પણ વાંચો: ‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને લેખિત ફરિયાદ
ચાર મહિના બાદ અજયકુમાર તેના મિત્ર કેતન સાથે રાયપુર આવ્યો. તેને જાણવા મળ્યું કે અમિત યાદવ જેલમાં છે અને શકુંતલાબેન ઘરે એકલા જ છે. આ તકનો લાભ ઉઠાવી, તેણે શકુંતલાબેનની જ દોરીથી ગળું દબાવી હત્યા કરી નાખી. આરોપીઓ ઘરમાંથી 10 લાખ રૂપિયા રોકડા અને 35 તોલા સોનું લૂંટીને ફરાર થઈ ગયા હતા.
હત્યા બાદ આરોપી અજયકુમાર મિશ્રાએ પોલીસથી બચવા માટે અત્યંત સાવચેતી રાખી હતી. તેણે મોબાઈલ ફોન વાપરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું. તે પાન કાર્ડ કે આધાર કાર્ડ જેવા કોઈ પણ ઓળખપત્રનો ઉપયોગ કરતો નહોતો. પોલીસની નજરથી બચવા તે ગોવા અને મુંબઈમાં ભટક્યા બાદ 2022થી અમદાવાદના નરોડામાં છુપાઈને રહેતો હતો.
ધરપકડ અને આગળની કાર્યવાહી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા આરોપીને શોધી કાઢ્યો છે. આરોપીની પ્રોફાઇલ મુજબ તેનું નામ અજયકુમાર ઉર્ફે લક્ષ્મીસાગર ઉર્ફે કિંમતીશ્રી રાજનારાયણ મિશ્રા છે. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે છત્તીસગઢની રાયપુર પોલીસને જાણ કરી છે અને ટૂંક સમયમાં આરોપીનો કબજો સોંપવામાં આવશે.















