Jamnagar Fraud Case : જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક બેંકના ડેપ્યુટી મેનેજરને તેના મિત્ર દ્વારા માર્કેટ રેટ કરતાં ઓછા ભાવે ક્રિપ્ટો કરન્સી આપવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ છે, અને રૂપિયા 44.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી જામનગરના પંચકોશી બી. ડિવિઝનમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગરમાં ક્રિપ્ટોકરન્સીના નામે એક મોટું છેતરપિંડી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 44.50 લાખ રૂપિયા રોકડ લઈને બેન્કના ડેપ્યુટી મેનેજરનો મિત્ર એવો આરોપી ફિલ્મી અંદાજમાં ફરાર થઈ ગયો. બેન્કના ડેપ્યુટી મેનેજરને વિશ્વાસમાં લઈ સસ્તા દરે યૂ.એસ.ડી.ટી. આપવાની લાલચ આપી ગોઠવાયલા કાવતરાથી છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને એક ખાનગી બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા તેજસ પ્રવીણભાઈ પટેલ, જેઓની ઓળખાણ વર્ષોથી નવાજ સુમરીયા સાથે હતી. ગોલ્ડ લોનના કામ દરમ્યાન બનેલી આ ઓળખાણે મિત્રતાનું સ્વરૂપ ધારણ કર્યું, જે આગળ જઈને છેતરપિંડીનું કારણ બની હતી. અને ત્યાર પછી સસ્તા ભાવે ક્રીપ્ટોકરન્સીની ઓફર આપીને વિશ્વાસ જીતવાનો ખેલ શરૂ થયો હતો.
નવાજ નામના વ્યક્તિ દ્વારા વસીમ મકવાણાની ઓળખાણ કરાવવામાં આવી હતી, અને ત્યારબાદ “તુષારભાઈ શાહ” નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. તેણે બ્રાસના વેપારના બહાને માર્કેટ કરતાં ઓછા ભાવે યું.એસ.ડી.ટી આપવાની ઓફર કરી. શરૂઆતમાં 100 જેટલા ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરીને વિશ્વાસ ઉભો કરવામાં આવ્યો હતો. અને મીટિંગ ગોઠવાઈ હતી. દરમિયાન આરોપીએ પોતાના વોલેટમાં લાખો યૂ. એસ.ડી.ટી. હોવાનો સ્ક્રીનશોટ બતાવ્યો હતો. અને 89 રૂપિયા પ્રતિ એસ.ડી.ટી.ના રેટ પર 50,000 યૂ.એસ.ડી.ટી.આપવાની વાતથી ફરિયાદી વિશ્વાસમાં આવી ગયા હતા.
દરમિયાન 7 મી ફેબ્રુઆરીએ ખંભાળિયા બાયપાસ નજીક ટી-પોસ્ટ પાસે આરોપીને 44.50 લાખ રૂપિયા રોકડ આપવામાં આવ્યા હતા. જેથી આરોપીએ પોતાની કારની ચાવી આપી વિશ્વાસ વધાર્યો હતો, અને પૈસા લઈને પોતાની કારમાં બેસીને પળવારમાં ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ ફરિયાદી અને તેમના મિત્રો આરોપીની પાછળ દોડ્યા હતા, અને ફોન પર સંપર્ક કર્યો હતો. પરંતુ આરોપીએ “સર્વર ડાઉન” જેવા બહાના આપ્યા. બાદમાં 50,000 યૂ.એસ.ડી.ટી. ટ્રાન્સફર થયાનો નકલી સ્ક્રીનશોટ મોકલી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
જેની તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે “તુષારભાઈ શાહ” તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ આનંદ લીલાભાઈ મોઢવાડીયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી ખોટી ઓળખ દ્વારા છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
એક વિશ્વસનીય વ્યવસાયમાં કાર્યરત વ્યક્તિ પણ આ રીતે છેતરાઈ જાય, તે આ કેસની ગંભીરતા દર્શાવે છે. ક્રિપ્ટોકરન્સી જેવા ક્ષેત્રમાં “ડિસ્કાઉન્ટ” અને “ઝડપી નફો”ના લાલચ પાછળ છુપાયેલ જોખમ આ બતાવે સ્પષ્ટ કર્યું છે. ડિજિટલ યુગમાં રોકાણના નવા રસ્તાઓ ખુલ્યા છે, પરંતુ તેના સાથે છેતરપિંડીના જોખમો પણ વધી રહ્યા છે.
આખરે આ મામલે તેજસભાઈ પટેલ દ્વારા જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં આનંદ લીલાભાઈ મોઢવાડિયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 318-4, 61-2, 319-2 મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપી આનંદ મોઢવાડિયા તેમજ આ પ્રકરણમાં અન્ય કોઈ વધુ આરોપી ખુલે તો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.















