![]()
Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ નજીકથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક વિકલાંગ વ્યક્તિએ પોતાની કાયા ઉપર જવલનશીલ પદાર્થ રેડી અગ્નિસ્નાન કરી લેતાં ભડથું થઈ જવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું છે.
પોલીસ માહિતી મુજબ તા.31 માર્ચ 2026ના રોજ સાંજના સમય પહેલા કોઇપણ સમયે ખંઢેરા ગામથી વરૂડીમાતા જવાના જુના માર્ગ પર દાવલશાહ પીરના રોજા સામે સરકારી ખરાબામાં આ બનાવ બન્યો હતો. મૃતકની ઓળખ જમનભાઈ ગાંડુભાઈ સોંડાગર (ઉ.વ. 50, રહે. ખંઢેરા ગામ) તરીકે થઈ છે. તેઓ જન્મથી જ વિકલાંગ હતા અને અવિવાહિત હતા. પ્રાથમિક માહિતી મુજબ તેઓ કડક સ્વભાવના હોવાથી કોઇ વાતે મનમાં લાગી આવતાં પોતાની જાતે શરીરે આગ લગાવી દીધી હતી, જેના કારણે તેઓ દાઝી જતાં તેમનું સ્થળ પરજ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે એ.ડી. નંબર 14/2026 મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 194 હેઠળ નોંધ કરવામાં આવી છે. અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.















