![]()
Jamnagar Crime : જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં એક યુવાન સાથે મારામારી અને હત્યાના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી છે. સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે પાંચ હુમલાખોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તા.31/03/2026ના રોજ બપોરે લગભગ 12:15 વાગ્યાના આસપાસ ખોડીયાર કોલોનીની નીલકમલ સોસાયટી પાસે આ બનાવ બન્યો હતો. ફરિયાદી હર્ષ પરેશભાઈ મહેતા પોતાના મિત્રો સાથે બાઈક પર ઘરે જતા હતા ત્યારે સોડાની દુકાન પાસે બાઈક વાળતી વખતે આરોપી નિશાંતકુમાર, પ્રિયબત શાહ, પુનિતરાજ, મુન્નાકુમાર અને આલોકકુમાર (તમામ રહે. યુ.પી. અને બિહાર) સાથે ટકકર થતાં બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન આરોપી નંબર (5) એ ફરિયાદીને ઝાપટો મારી દીધો હતો. ત્યારબાદ ફરિયાદી તેની પાછળ આરોપીના ઘરે ગયા ત્યારે તમામ આરોપીઓએ એકઠા થઈ ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કર્યો હતો. આરોપી નંબર (5) એ ફરિયાદીને જમીન પર પછાડી ગળું દબાવ્યું હતું, જ્યારે અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો.
ઘટના દરમિયાન સાહેદ વનરાજસિંહ વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેમના હાથમાં રહેલો મોબાઇલ ફોન છીનવી જમીન પર ફેંકી દેતા તેનું ડિસ્પ્લે તૂટી ગયું હતું. આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી હતી.
આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 109, 189, 324(4), 352 મુજબ ગુનો નોંધ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.















