![]()
– પીપલગ શાક માર્કેટ સામે અકસ્માત
– નડિયાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી
નડિયાદ : નડિયાદ તાલુકાના પીપલગની ઇન્દિરા નગરીમાં રહેતા આધેડનું મંગળવારે સવારે રોડ ક્રોસ કરી ચા પીવા જતા હતા ત્યારે ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઈજાગ્રસ્ત આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ તાલુકાના પીપલગની ઇન્દિરા નગરીમાં રહેતા મેલાભાઈ રઇજીભાઈ પરમાર પ્લમ્બરનું કામ કરી પરિવારનું જીવન નિર્વાહ કરે છે. તેમની સાથે રહેતા કાકા કનુભાઈ પરમાર મંગળવારે સવારે છ વાગ્યાના સુમારે ચા પીવા શાકમાર્કેેટ આગળ આવેલ હોટલ પર જતા હતા. તેઓ નેશનલ હાઇવે નંબર ૪૮ રોડ ક્રોસ કરતા હતા ત્યારે વડોદરા તરફ જતી ટ્રકની અડફેટે આવી જતા કનુભાઈ પરમારને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી મેલાભાઈને જાણ કરી હતી. જેથી ૧૦૮ મારફત કનુભાઈ ડાયાભાઈ પરમાર (ઉં.વ.૫૪)ને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મેલાભાઈ રઇજીભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.















