Singer Asha Bhosle Passed Away: હિન્દી સિનેમાજગતથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય સંગીતની દુનિયાના તેજસ્વી સિતારા અને કરોડો લોકોના પ્રિય ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે. તેમને ગઈકાલે(11 એપ્રિલ) કાર્ડિયાક અરેસ્ટ આવતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેમના પુત્ર આનંદ ભોસલેએ આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી છે. તેમના પુત્ર આનંદ ભોસલેએ કહ્યું કે, મારા માતા આશા ભોસલેનું આજે નિધન થઈ ગયું છે. લોકો આવતીકાલ સવારે 11 વાગ્યે લોઅર પરેલ સ્થિત કાસા ગ્રાંડેમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે છે. કાલે ચાર વાગ્યે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આશાજીના નિધનના સમાચાર મળતા જ સંગીતકારો, બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય નેતાઓમાં શોકની લહેર ફરી વળી છે. તેમના જવાથી ભારતીય સંગીત જગતમાં જે ખાલીપો પડ્યો છે તે ક્યારેય પુરી શકાય તેમ નથી.
LIVE UPDATES
આશા ભોસલેના નિધનથી માત્ર સિનેમા જગતના લોકો જ દુઃખી જ નથી, પરંતુ અનેક દિગ્ગજ નેતા પણ દિગ્ગજ સિંગરથી દુઃખમાં છે.
તેમની સાથેની મારી મુલાકાતોને હું હંમેશા યાદ રાખીશ: વડાપ્રધાન મોદી
આશા ભોસલેના નિધન પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “ભારતના સૌથી પ્રતિકાત્મક અને સર્વતોમુખી અવાજોમાંના એક એવા આશા ભોસલે જીના નિધનથી ઊંડો આઘાત લાગ્યો છે. દાયકાઓ સુધી ફેલાયેલી તેમની અસાધારણ સંગીત યાત્રાએ આપણી સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધ બનાવી અને વિશ્વભરના અસંખ્ય હૃદયને સ્પર્શ કર્યો. પછી તે તેમના આત્માને સ્પર્શી જાય તેવા મધુર ગીતો હોય કે જીવંત રચનાઓ, તેમના અવાજમાં હંમેશા તેજસ્વીતા ઝળકતી હતી. તેમની સાથેની મારી મુલાકાતોને હું હંમેશા યાદ રાખીશ.
તેમના પરિવાર, પ્રશંસકો અને સંગીત પ્રેમીઓ પ્રત્યે મારી સંવેદના. તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે અને તેમના ગીતો લોકોના જીવનમાં કાયમ માટે ગુંજતા રહેશે.”
ભારતની મેલોડી ક્વીનનું નિધન અત્યંત દુઃખદાયક: રાજનાથ સિંહ
આશા ભોસલેના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “ભારતની મેલોડી ક્વીન આશા ભોસલે જીનું નિધન મારા માટે અત્યંત દુઃખદાયક છે. એક પ્લેબેક સિંગર તરીકે, તેમણે હજારો ફિલ્મો અને મ્યુઝિક આલ્બમ્સમાં પોતાનો અવાજ આપ્યો છે. ભારતીયોની અનેક પેઢીઓએ તેમના ગીતો સાંભળ્યા છે અને ગણગણ્યા છે. તેમની મધુર સુરાવલીઓનો પડઘો હંમેશા ગુંજતો રહેશે. આશા ભોસલે જીનું નિધન સંગીત જગત માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ છે. દુઃખની આ ઘડીમાં, તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ!”
ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે દિવંગત પુણ્ય આત્માને શાશ્વત શાંતિ મળે: CM યોગી
આશા ભોસલેના નિધન પર દુઃખ વ્યક્ત કરતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, “ભારતીય સંગીત જગતની સૂર સમ્રાજ્ઞી, સૂરોની મહાન જાદુગર, ‘પદ્મ વિભૂષણ’ આશા ભોસલે જીનું નિધન અત્યંત હૃદયદ્રાવક અને કલા જગત માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ છે. તેમની અજોડ ગાયકીએ ભારતીય સંગીતને નવી ઊંચાઈઓ બક્ષી છે. તેમની મધુર સુરાવલીઓ દેશના લોકોના હૃદયમાં હંમેશા ગુંજતી રહેશે. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે દિવંગત પુણ્ય આત્માને શાશ્વત શાંતિ મળે, અને શોકગ્રસ્ત પરિવાર તેમજ પ્રશંસકોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ મળે. ઓમ શાંતિ! “
મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું
મમતા બેનર્જીએ X પર પોસ્ટ લખીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, મહાન સંગીત પ્રતિભા આશા ભોસલેના નિધનથી ખુબ જ દુઃખી છું. તેઓ એક પ્રેરણાદાયક અને મંત્રમુગ્ધ કરનારા સિંગર હતા, જેમણે પેઢીઓ સુધી આપણા દિલો પર રાજ કર્યું.
ભારતીય ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે દુઃખ વ્યક્ત કર્યું
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના નિધન પર ભારતીય ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે જણાવ્યું હતું કે, “મને ખૂબ જ દુઃખ છે કે આશા તાઈ, જે ગાયિકા વિશ્વભરમાં આટલા પ્રખ્યાત હતા અને જેમણે આટલા બધા ગીતો ગાયા હતા, તે હવે આપણી વચ્ચે નથી. તેમણે વર્ષોથી અનેક પેઢીઓને પ્રેરણા આપી છે. એક ફિલ્મ નિર્માતા તરીકે મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી. તેમણે ફિલ્મોમાં ઘણા ગીતો ગાયા છે… તેમની ખોટ હંમેશા વર્તાશે…”
અભિનેતા રજત બેદીએ દુઃખ વ્યક્ત કર્યું
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના નિધન પર અભિનેતા રજત બેદી કહ્યું કે, “ફિલ્મ ઉદ્યોગ માટે મોટી ખોટ છે. હું તેમના પરિવાર અને તેમના તમામ ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું…”
આરજેડી નેતા તેજસ્વી યાદવે દુઃખ વ્યક્ત કર્યું
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના નિધન પર આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, “તેઓ સંગીતની દુનિયાના જાણીતા વ્યક્તિત્વ હતા. તેમનું આજે નિધન થવું એ સંગીત જગત માટે મોટી ખોટ છે. હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે.”
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે દુઃખ વ્યક્ત કર્યું
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના નિધન પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “આ અત્યંત દુઃખદ છે. તેઓ ભારતના રત્નોમાંના એક હતા. પોતાના ગીતોની પ્રસ્તુતિ દ્વારા તેમણે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ખૂબ નજીક હતા, જેઓ તેમનું ખૂબ સન્માન કરતા હતા. બહેનો લતા દીદી, ઉષા જી અને આશા ભોસલે જીએ પોતાની સિદ્ધિઓ અને કલા-સંસ્કૃતિની સેવા દ્વારા દેશનું ગૌરવ વધાર્યું છે. આપણે તેમને યાદ કરીશું. હું પ્રાર્થના કરું છું કે તેમનો પરિવાર આ અપૂરીય ખોટ સહન કરી શકે… તેમના આત્માને શાંતિ મળે…”
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દુઃખ વ્યક્ત કર્યું
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના નિધન પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “આશા તાઈ અને મારે છેલ્લા ઘણા વર્ષોથી ગાઢ સંબંધો હતા. તેમણે અનેક ભાષાઓમાં અનેક ગીતો ગાયા છે… તેમના ગીતો આજે પણ વિશ્વભરમાં લોકપ્રિય છે. તેઓ વૈશ્વિક સ્તરે ખ્યાતનામ છે. જે રીતે લતા દીદીએ તેમની ગાયકીની પ્રતિભા દ્વારા દેશનું નામ રોશન કર્યું, તેવી જ રીતે આશા તાઈએ પણ કર્યું… તેમનું અવસાન તેમના પરિવાર માટે મોટો આઘાત છે. અમે સૌ દુઃખી છીએ. ઈશ્વર શોકગ્રસ્ત પરિવારને શક્તિ આપે અને તેમના આત્માને શાંતિ મળે.”
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના નિધન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, “ભારત અને સમગ્ર વિશ્વના સંગીત પ્રેમીઓ માટે આ દુઃખની ક્ષણ છે. તેઓ સૌથી સર્વતોમુખી કલાકાર તરીકે જાણીતા હતા. સંગીત પ્રત્યેની તેમની સેવા અને મંગેશકર પરિવારની સંગીત સેવા – આપણે લતા દીદીનું નિધન જોયું અને આજે આ જોયું. અમે બધા દુઃખી છીએ… આ આપણા બધા માટે મોટી ખોટ છે, અમે શોકગ્રસ્ત પરિવારની સાથે છીએ.”
આવતીકાલે 4 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
તેમના પુત્ર આનંદ ભોસલેએ કહ્યું કે, મારા માતા આશા ભોસલેનું આજે નિધન થઈ ગયું છે. લોકો આવતીકાલ સવારે 11 વાગ્યે લોઅર પરેલ સ્થિત કાસા ગ્રાંડેમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે છે. કાલે ચાર વાગ્યે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મલ્ટિ-ઓર્ગન ફેલ્યોરથી નિધન
ડૉ. પ્રતીત સમદાનીના જણાવ્યા અનુસાર, અત્યંત થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર(શરીરના વિવિધ અંગો કામ કરતા બંધ થઈ જવા) થવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
માત્ર 9 વર્ષની ઉંમરે શરૂ કરી હતી સંગીત સફર
ભારતીય સિનેમાના સૌથી સફળ અને લોકપ્રિય ગાયિકા આશા ભોસલેનું સંગીત જગતમાં કદ તેમની મોટી બહેન સ્વ. લતા મંગેશકર જેટલું જ ઊંચું હતું. વર્ષ 1933માં સંગીત પ્રેમી મંગેશકર પરિવારમાં જન્મેલા આશા તાઈએ માત્ર 9 વર્ષની ઉંમરે ગાયકીની શરૂઆત કરી હતી. 1943માં પ્રથમ ગીત રેકોર્ડ કર્યા બાદ, 50ના દાયકા સુધીમાં તેમણે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી હતી. શરૂઆતમાં તેમને માત્ર કેબરે ગીતો માટે જ ઓળખવામાં આવતા હતા, પરંતુ ‘ઉમરાવ જાન’ની ગઝલો ગાઈને તેમણે સાબિત કરી દીધું કે તેઓ દરેક પ્રકારના ગીતોમાં માહિર છે. તેમને 7 ફિલ્મફેર એવોર્ડ અને ‘દિલ ચીઝ ક્યા હૈ’ તેમજ ‘મેરા કુછ સામાન’ ગીતો માટે બે નેશનલ એવોર્ડ મળ્યા હતા.
1943માં પોતાની કારકિર્દી શરૂ કરનાર આશા ભોસલેએ 12 હજારથી વધુ ગીતો ગાઈને વિશ્વભરમાં નામના મેળવી હતી. પૌરાણિક ભજનોથી લઈને આધુનિક પોપ સોંગ્સ સુધી, દરેક શૈલીમાં તેમણે પોતાનો જાદુ વિખેર્યો હતો. તેમના અવાજમાં એવી ખનક હતી કે જે દરેક પેઢીના હૃદયને સ્પર્શી જતી.
આશા ભોસલેનું અંગત જીવન: સંઘર્ષ અને ઉતાર-ચડાવ
આશા ભોસલેનું અંગત જીવન પણ અનેક ઉતાર-ચડાવથી ભરેલું રહ્યું હતું. માત્ર 16 વર્ષની ઉંમરે પરિવારની મરજી વિરુદ્ધ તેમણે 31 વર્ષના ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યા હતા, જે તેમના પર્સનલ સેક્રેટરી હતા. જોકે, સાસરી પક્ષના ત્રાસને કારણે 1960માં તેઓ ત્રણ બાળકો સાથે અલગ થઈ ગયા હતા. ત્યારબાદ 1980માં તેમણે પોતાનાથી 6 વર્ષ નાના સંગીતકાર આર.ડી. બર્મન સાથે લગ્ન કર્યા હતા. આર.ડી. બર્મનના નિધન બાદ, અંતિમ વર્ષોમાં તેમની પૌત્રી ઝનાઈ ભોસલે તેમની સતત સાથી રહી હતી. આશા ભોસલેની વિદાયથી સંગીત જગતમાં એક એવું સ્થાન ખાલી પડ્યું છે જે ક્યારેય ભરી શકાશે નહીં.
20થી વધુ ભાષાઓ અને 12,000 ગીતોનો અદભૂત રેકોર્ડ
ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ માત્ર 10 વર્ષની નાની ઉંમરે 1943માં મરાઠી ફિલ્મ ‘માઝા બાલ’ના ગીત ‘ચલા ચલા નવબાલા’ દ્વારા પોતાની ગાયકીની સફર શરૂ કરી હતી, જ્યારે હિન્દી સિનેમામાં તેમને 1948માં ફિલ્મ ‘ચુનરિયા’ના ગીત ‘સાવન આયા રે’થી સફળતા મળી હતી. આશા તાઈએ ફિલ્મ સંગીત, પૉપ, ગઝલ અને શાસ્ત્રીય સંગીત જેવી વિવિધ શૈલીઓમાં 20થી વધુ ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાઈને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
ગિનીઝ બુક અને ગ્રેમી નોમિનેશન મેળવનાર પ્રથમ ભારતીય ગાયિકા
તેમની અદભૂત કારકિર્દી દરમિયાન તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માન મળ્યા છે, જેમાં વર્ષ 2000માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને 2008માં પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. વર્ષ 1997માં તેઓ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થનારા પ્રથમ ભારતીય ગાયિકા બન્યા હતા, જ્યારે 2011માં તેમનું નામ સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું હતું. સંગીત ક્ષેત્રે તેમનું પ્રદાન હંમેશા મહત્ત્વનું રહેશે.















