![]()
SRP Jawan Death In Gandhinagar: ગાંધીનગરના સચિવાલય પરિસરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સચિવાલયની સુરક્ષામાં તહેનાત સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના એક જવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
ફરજ દરમિયાન જ ઝાડ સાથે ફાંસો ખાધો
મળતી માહિતી અનુસાર, એસઆરપી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલ સચિવાલયના ગેટ નંબર-3 પાસે સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત હતા. ગત મોડી રાત્રે તેણે ગેટ નજીક આવેલા એક ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો. આસપાસના કર્મચારીઓ અને અન્ય સુરક્ષાકર્મીઓની નજર પડતા જ દોડધામ મચી ગઈ હતી. નોંધનીય છેકે, SRP જવાન મૂળ ભાવનગર જિલ્લાના વતની હતા.
આ પણ વાંચો: ઉમરગામના મામલતદારનો આપઘાત, અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ‘મોટા માથાઓ’નું દબાણ હોવાનો આરોપ
બનાવની જાણ થતા જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પહેંચીને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. સચિવાલય જેવા ગીચ સુરક્ષાવાળા વિસ્તારમાં જવાને કેમ આવું આકરું પગલું ભર્યું, તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ કે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. રાજેન્દ્રસિંહ ગોહિલ માનસિક તણાવમાં હતા કે અન્ય કોઈ પારિવારિક કારણ હતું, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.















