![]()
Surat Corporation : સુરત પાલિકાની કેટલીક કામગીરી ઝોન અને વિભાગ વચ્ચે થતી નથી તેવા કિસ્સામાં જવાબદારીમાંથી બહાનાં કાઢી એક બીજા પર જવાબદારી નાંખનારા અધિકારીઓ સામે મ્યુનિ. કમિશનર વરસી પડ્યા હતા. જવાબદારીમાં ખો આપનારા અધિકારીઓની ઝાટકણી કાઢી આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી માંડી ફરજિયાત નિવૃત્તિ સુધીના પગલાં ભરવાની ચીમકી આપતા અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. આ ઉપરાંત ખાડી સફાઈની કામગીરીમાં દબાણ હટાવાતા નથી તેથી તે કામગીરી પણ ઝડપી કરવા માટે મ્યુનિ. કમિશ્નરે સૂચના આપી હતી.
સુરત મ્યુનિ. કમિશનર એમ.નાગરાજને થોડા સમય પહેલાં બીઆરટીએસ રૂટનો રાઉન્ડ લીધો હતો. તેમાં કેટલીક ખામીઓ કાઢી તેને સુધારવા માટે તાકીદ કરી હતી. બીઆરટીએસના બોર્ડની આસપાસ વૃક્ષોની ડાળીઓ, રાત્રે ઓછો પ્રકાશ સહિતના મુદ્દાઓ અંગે તેમણે બીઆરટીએસ વિભાગના કાર્યપાલક ઈજનેર માનસિંહ ચૌધરીને ટકોર કરી હતી. જોકે, ચૌધરીએ આ કામગીરી ઝોન લેવલે થતી હોવાનું કહી જવાબદારી ટાળવાનો પ્રયાસ કર્યો હતો. કામગીરીમાં જવાબદારી એક બીજા પર ઢોળવાના પ્રયાસ સામે મ્યુનિ. કમિશનર અકળાયા હતા. આવી બહાનાબાજી સામે તેઓએ કડક વલણ અપનાવ્યું હતું અને ઝાટકણી કાઢી હતી. તેઓએ અધિકારીઓને સ્પષ્ટ કહી દીધું હતું કે, આ રીતે જવાબદારી એક બીજા પર ઢોળવી હોય તો સસ્પેન્સન કરે ફરજિયાત નિવૃત્તિ માટે તૈયાર રહો. મ્યુનિ. કમિશનરના આવા વલણના કારણે અધિકારીઓમાં સોપો પડી ગયો હતો.
આ ઉપરાંત બેઠકમાં પ્રિમોન્સુન કામગીરી નબળી થઈ રહી છે તેની સામે પણ ઝાટકણી કાઢી હતી. ચોમાસુ આવે તે પહેલાં ખાડીની સફાઇ કરવા તથા ખાડી પરના દબાણ દૂર કરવા માટે સૂચના આપી હતી. આ દબાણ હજી સુધી કેમ દૂર કરાયા નથી કોની રાહ જોવામાં આવે છે તેવા પ્રશ્ન સાથે તાકીદે દબાણ દુર કરવા માટે સૂચના આપી હતી. સાથે સાથે તેઓએ સાત દિવસની અંદર ખાડીઓ પરના દબાણો દૂર કરવા અને અંદર સુધી પહોંચી સંપૂર્ણ સફાઈ કરવા માટે સ્પષ્ટ એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ આપ્યો છે.















