![]()
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હોવાનુ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા યુદ્ધમાં શાંતિની મંત્રણાઓ ફરી શરૂ થશે એવા સમાચાર આવી રહ્યા હતા. આના પગલે ફંડોની નવી વેચવાલી સોનામાં ઘટતાં વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૭૭૪થી વધી ૪૮૭૧ થઈ ૪૮૧૪થી ૪૮૧૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાનાભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ વધ્યા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૭૭.૫૬ વાળા વધી ઉંચામાં ભાવ ૮૧.૦૦ થઈ ૭૮.૯૬થી ૭૮.૯૭ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી વધ્યા હતા. યુદ્ધ શાંતિ મંત્રણાના સંકેતો વચ્ચે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધુ ૬૧ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. ત્યાં આ પૂર્વે સ્ટોક ૩૭થી ૩૮ લાખ બેરલ્સ વધ્યો હતો. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૯.૧૭ વાળા નીચામાં ભાવ ૯૩.૯૩ તથા ઉંચામાં ભાવ ૯૬.૯૦ થઈ ૯૫.૮૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૭.૩૦ વાળા નીચામાં ૮૬.૯૬ તથા ઉંચામાં ૯૩.૩૦ થઈ ૯૨.૩૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૨૦૦થી ૧૩૦૦ વધુ વધ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ મુંબઈ બજારમાં આજે વધુ રૂ.૩૦૦૦ વધ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૨૦૦ વધ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૮૬ વાળા વધી ૨૧૫૦ થઈ ૨૧૦૫થી ૨૧૦૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૫૮૩ વાળા વધી ૧૬૦૯ થઈ ૧૫૮૮થી ૧૫૮૯ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે નજીવી વૃદ્ધી બતાવતા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના વધી રૂ.૧૫૨૩૩૭ થઈ રૂ.૧૫૨૨૫૩ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૫૨૯૪૯ થઈ રૂ.૧૫૨૮૬૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ઉંચામાં રૂ.૨૫૦૮૫૫ થઈ રૂ.૨૪૯૦૧૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધી રૂ.૬૮૯૦૮ થઈ રૂ.૬૮૮૬૬ રહ્યા હતા. દરમિયાન, ભારતમાંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસ માર્ચમાં આશરે ૩૪થી ૩૫ ટકા ઘટી હોવાના વાવડ મળ્યા હતા. વોર ઈફેકટ વચ્ચે માર્ચમાં આવી નિકાસ ઘટી ૧.૭૮ અબજ ડોલર થઈ હતી. જો કે સામે આયાત ૧૭ ટકા વધી હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા હતા.















