![]()
વેરાવળના વૃધ્ધાની ઉનાના બે શખ્સો સામે ફરિયાદ
અમોદ્રા મસાણ નજીક જમીનમાં ‘ચરૂ’ કાઢવા માટે વિધિ કરવી પડશે કહી લાલચ આપી દાગીના અને રોકડ લઈ જઈ છેતરપીંડી આચરી
વેરાવળ: વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધા પાસે ઉનાના એક શખ્સે આવી અમોદ્રા મસાણની જગ્યામાંથી અબજો રૂપીયાની હીરા, માણેક, સોનું કાઢી આપવાની લાલચ આપી તાંત્રિક વિધિના બહાને રૂા.૭૬.૬૬,૬૪પની ઠગાઈ કરતા બે આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
વેરાવળ ભીડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધ વિજયાબેન દામજીભાઈ ચોરવાડી (ઉ.વ.૬ર)એ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે કે પારિવારીક સંબંધ ધરાવતા ઉના રહેતા આરીફ ગફાર ઉર્ફે ભરો વરીવાળી ર૦ર૪ના જાન્યુઆરી મહિનામાં કાર લઈને ઘરે આવ્યો હતો. તેણે કહેલ કે અઘોરી તાંત્રિક મને મળેલ અને અમોદ્રા મસાણે સાથે બેસાડી કહ્યું કે મારી પાસે અઘોરી શક્તિ છે મારી મૃત્યુ નજીક હોય મસાણ નજીક જમીનમાં અબજો રૂપીયાના હીરા માણેક સોનું દેખાતું હોય મારે તને આપી ને મરવું છે. તેના માટે તાંત્રિક વિધિ કરવી પડશે. જેથી જે તે વખતે મે આરોપીને કહ્યું કે આજના જમાનામાં આવું શક્ય નથી ત્યારે આરોપીએ જણાવેલ કે મને અઘોરી ઉપર વિશ્વાસ છે જે જરૂર કરી આપશે પણ સોનાની વસ્તુ રૂપિયા આપવા પડશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. થોડાક દિવસ બાદ ફોન કરીને કહ્યું કે અઘોરી બાબા આવેલ છે. તે મને બેસાડીને પ્રભાસપાટણ રોડ ઉપર દરગાહમાં લઈ ગયા ત્યારે અઘોરી બાબા મળેલ હતાં. તેમને હિન્દીમાં કહેલ કે તુમારા સબ કામ હો જાએગા આરીફભાઈ જેસા બોલે વેસા કરના હૈ, જેથી વૃધ્ધાને વિશ્વાસ બેસી ગયો. બે દિવસ બાદ અઘોરી વિધિ કરવાની સામગ્રી મંગાવેલ તેમાં રોકડા રૂા.રપ લાખ તેમજ સોનાના ત્રણ નાગ ૧૧પ ગ્રામના બનાવવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ બીજા બે નાગ રૂા.૧૧,૯પ,૦૦૦ના થોડા દિવસો બાદ અઘોરી બાબાએ એક ખોડીયાર માતાની મુર્તિ શ્રૂંગારમાં ચેઈન, બુટી, વીંટી, પેડલ સોનાના તથા ચાંદીના સાકળા, થાળી ચડાવવાની છે. આ વિધિ મસાણે કરવાની છે. અઘોરી બાબા હવન કરશે હું તમને બોલાવું એટલે આવી જાજો એટલે સોનાના ચરૂ, હીરા, માણેક જમીનમાંથી નિકળશે. જેમાં આપણા બન્નેનો ભાગ રહેશે. ર૦ર૪ થી ર૦રપ સુધી રૂા.૭૬,૬૬,૬૪પ તાંત્રિક વિધિના બહાને પડાવી લીધા હતા. ઘણા દિવસો વીતી ગયા તેનો ફોન ન આવતા શંકા જતા ફોન કરતા આરોપી આરીફ ઉર્ફે ભુરો અલગ અલગ બહાના બતાવતો હોય જેથી રોકડા રૂપિયા દાગીના પરત આપવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ જઈને કહેલ કે જો હવે મને ફોન કરતો તો ટાંટિયા તોડી, આંતેડા બહાર કાઢી આપી દઈશ, બધુ ભુલી જજો તમને કંઈ મળશે નહીં, તારાથી થાય તે કરી લેજે. તેમ કહેતા તેણે પોલીસમાં જાણ કરતા વેરાવળ પોલીસે ઉનાના આરીફ ગફાર ઉર્ફે ભુરો વરીયાલી અને અમોદ્રાના તાંત્રિક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.















