![]()
અનુભવી રાજ્યવેરા અધિકારીઓને જવાબદારી સોંપાઈ
નાણાકીય લેણદેણ પર વોચ, રજીસ્ટર અને વાઉચરની કડક તપાસ થશે, નિયત સમયમર્યાદામાં ખર્ચના હિસાબો રજૂ કરવા આદેશ
રાજકોટ: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ પર નજર રાખવા માટે રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં ખાસ ખર્ચ નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. જે તમામ અધિકારીઓ રાજ્યવેરા કમિશનર કચેરીના અનુભવી અધિકારીઓ છે. દરેક ઉમેદવારો સમયમર્યાદામાં પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરે એ તેઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે અમદાવાદથી સહાયક રાજ્યવેરા કમિશનર અમૃત પરમારને ખર્ચ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેવી જ રીતે જામનગર મહાનગરપાલિકા અને સિક્કા નગરપાલિકા માટે જૂનાગઢ કચેરીના સહાયક કમિશનર સંકેત બોઘરાની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ ઉમેદવારોના ખર્ચના રજીસ્ટર અને વાઉચરની નિયમોનુસાર તપાસ કરશે. અમરેલી જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને છ નગરપાલિકાઓ માટે ભાવનગરથી સહાયક કમિશનર કિશનલાલ ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તેમને જ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પાટણ, ઉના અને સુત્રાપાડા જેવી નગરપાલિકાઓ પર દેખરેખ રાખવાની પણ જવાબદારી સોંપાઈ છે.
મોરબીમાં મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓ માટે અમદાવાદથી સહાયક રાજ્યવેરા કમિશનર મોની ઉપાધ્યાયને તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા માટે રાજકોટ કચેરીના અધિકારી કલ્પેન હિરપરા તથા દેવભૂમિ દ્વારકા અને પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લાની પેટા ચૂંટણીઓ માટે અમદાવાદથી વેરા કમિશનર ભુપતભાઈ ડાંગરની નિમણૂક થઈ છે. દ્વારકાની સલાયા અને જૂનાગઢની બાંટવા નગરપાલિકામાં પેટા ચૂંટણીઓ યોજાવાની હોવાથી ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવશે. આ નિરીક્ષકો ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર ચાંપતી નજર રાખશે.















