West Bengal Assembly Election 2026 : ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા શરૂ કરીને અનેક મતદારોના નામ કાપી નાખ્યા હતા, જોકે તેમ છતાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાનાં મતદાનમાં ‘વોટિંગ ટકાવારી’ અને ‘કુલ મતદારોની સંખ્યા’માં વધારો થતાં જૂના તમામ રૅકોર્ડ તૂટી ગયા છે. ગુરુવારે 16 જિલ્લામાં 152 બેઠકો પર મતદાન યોજાયું હતું, ત્યારે આ જ બેઠકો પર 2021માં પણ મતદાન યોજાયું હતું. 2021 અને 2026ની આંકડાઓની તુલના કરતા આ વખતની ચૂંટણીમાં 24 લાખ મતો વધી ગયા હોવાની વિગતો સામે આવી છે.
2021ની તુલનાએ 2026ની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાન વધ્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી-2026માં પ્રથમ તબક્કામાં 3.35 કરોડથી વધુ મતદારોએ, જ્યારે 2021માં 3.1 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, SIR પ્રક્રિયા બાદ આ જ 152 બેઠકો પર 18 લાખ મતદારો ઘટી ગયા હતા. 2021માં આ બેઠકો પર 3.8 કરોડ મતદારો હતા. આ વખતે SIR બાદ મતદારોનો આંકડો ઘટીને 3.6 કરોડે પહોંચી ગયો હતો.
બંગાળના 14 જિલ્લામાં 90%થી વધુ મતદાન
ચૂંટણી પંચના અપડેટેડ ડેટા મુજબ, 16માંથી 14 જિલ્લા(કાલિમ્પોંગ અને દાર્જિલિંગ સિવાય)માં 90 ટકથી વધુ મતદાન થયું છે. સૌથી વધુ કૂચ બિહારમાં 96 ટકા, દક્ષિણ દિનાજપુરમાં 95.4 ટકા, જલપાઈગુડીમાં 94.6 ટકા, વીરભૂમમાં 94.5 ટકા, માલદામાં 94.4 ટકા મતદાન થયું છે. SIR બાદ સૌથી વધુ મુર્શિદાબાદમાં નામ કપાયા હતા, જ્યાં આ વખતે 93.6 ટકા મતદાન નોંધાયું છે.
આ પણ વાંચો : રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી
પોતાના ખર્ચે, મજૂરી છોડી મતદાન કરવા આવ્યા
આંકડા મુજબ, બંગાળના મોટાભાગના જિલ્લાઓમાંથી અનેક લોકો અન્ય રાજ્યોમાં કામ કરે છે. તેઓ મતદાન કરવા માટે રાજ્યમાં પરત આવતા મતદાનની ટકાવારીમાં રૅકોર્ડ વધારો થયો છે. આ મતદારોએ પોતાની યાત્રા પર હજારો ખર્ચ કરીને અને દૈનિક મજૂરી છોડીને મતદાન કરવા બંગાળ આવ્યા હતા. આ મતદારોને ડર છે કે, જો મતદાન નહીં કરે તો SIR પ્રક્રિયાના કારણે મતદાર યાદીમાંથી તેઓના નામ કપાઈ શકે છે. ચૂંટણી વખતે કૂચ બિહારકા શીતલકુચીમાં CISFએ ગોળીબાર કરતાં ચાર લોકો ઘાયલ થયા હતા, જોકે અહીં સૌથી વધુ 97.5 ટકા મતદાન થયું છે. જ્યારે SIR પ્રક્રિયા હેઠળ મુર્શિદાબાદમાંથી 91,712 નામ હટાવાયા હતા અને અહીં 96.1 ટકા મતદાન થયું છે.
મતદારોના નામ હટાવ્યા બાદ મતદાન ટકાવારી વધી : બંગાળના CEO
પશ્ચિમ બંગાળના સીઈઓ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, રાજ્યમાં અસ્તિત્વમાં ન રહેલા મતદારોના નામ હટાવ્યા બાદ કુલ મતદારોની સંખ્યા ઓછી થઈ ગઈ છે, જેના કારણે મતદાનની ટકાવારીમાં વધારો થયો છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, શુક્રવારે ચૂંટણી પંચના ડેટામાં સામે આવ્યું છે કે, મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે. કૂચ બિહારની તમામ બેઠકો પર 94 ટકાથી વધુ મતદાન થયું છે, જ્યારે દક્ષિણ દિનાજપુરની છમાંથી પાંચ બેઠકો પર 95 ટકા મતદાન થયું છે.
આ પણ વાંચો : AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક!















