Rahul Gandhi Slams Arvind Kejriwal : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી રેલીમાં શીશમહેલનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોલકાતામાં રેલીને સંબોધન કરીને કહ્યું કે, કેજરીવાલે જુદા રાજકારણનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પોતાની નાની ગાડીમાં આવ્યા અને કરોડો રૂપિયાના શીશમહેલમાં જતા રહ્યા.
રાહુલના કેજરીવાલ પર ગંભીર આક્ષેપ
દિલ્હીમાં 2013 પહેલા કોંગ્રેસની સત્તાને યાદ કરીને રાહુલ ગાંધીએ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના કહેવા મુજબ 2011માં અન્ના હજારે આંદોલન થયું હતું, ત્યારે લાલ રંગનું સ્વેટર પહેરેલા કેજરીવાલ થાંભલા પર ચઢી ગયા હતા. તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે નાની ગાડીમાં આવ્યા હતા જોકે પછી તેઓ શીશમહેલમાં જતા રહ્યા હતા. રાહુલે કેજરીવાલ પર કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું હોવાનો, ભ્રષ્ટાચાર કર્યો હોવાનો, દિલ્હીમાં પ્રદૂષણ વધાર્યું હોવાનો અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર વખતે ઉભુ કરેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
રાહુલનો કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ
દિલ્હીમાં 2013 પહેલા કોંગ્રેસની સત્તાને યાદ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કેજરીવાલે નવા પ્રકારના રાજકારણની વાત કરી હતી, જોકે હું બીજીતરફથી રાજકારણ કરીશ. તેઓ ખંભા પર ચઢી ગયા હતા… લાલ રંગનું સ્વેટર પહેર્યું હતું… તમને યાદ છે ? તેઓ નાની ગાડી વેગન-આરમાં આવ્યા હતા… વેગન-આરમાં આવ્યા અને સીધા શીશમહેલના પાર્કિંગ લૉટમાં જતા રહ્યા… કરોડો રૂપિયાનું ઘર, ભ્રષ્ટાચાર, પોલ્યુશન… કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શિલા દિક્ષીતજીએ દિલ્હીમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હતું, રસ્તાઓ બનાવ્યા હતા, પુલ બનાવ્યા હતા… તે બધુ તેમણે ખતમ કરી નાખ્યું.’
આ પણ વાંચો : આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં ‘જેકપોટ’ લાગી શકે
કેજરીવાલ પર શીશમહેલનો આરોપ
ઉલ્લેખનીય છે કે, જ્યારે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા, ત્યારે વિપક્ષો તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘6, ફ્લેગસ્ટાફ બંગલો’ને શીશમહેલ કહી રહ્યા છે. કેજરીવાલ પર આ બંગલો બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનો આરોપ લાગ્યા છે. તાજેતરમાં જ દિલ્હીના લોક નિર્માણ મંત્રી પ્રવેશ સાહિબ સિંહે કેજરીવાલ પર નવું શીશમહેલ બનાવાવનો આક્ષેપ કર્યો હતો. તેમણે લોધી રોડ સ્થિત એક બંગલાની કેટલીક તસવીરો જાહેર કરી હતી અને તેને શીશમહેલ-2 ગણાવ્યો હતો. જોકે પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ દાવો કર્યો કે, તેમણે જાહેર કરેલી તસવીરો કેજરીવાલના ઘરની નથી, પરંતુ ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી તસવીરો છે.
આ પણ વાંચો : AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી















