AAP Crisis : આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સાંસદોમાંથી સાત સાંસદો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ જતાં પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષે પણ AAPના બળવાખોર સાંસદોને સાંસદ તરીકેની માન્યતા આપી દીધી છે. આ સાંસદોમાં રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની, અશોક મિત્તલનો સમાવેશ થાય છે. સાંસદો જોડાયા બાદ હવે રાજ્યસભામાં ભાજપ તો પાવરફુલ બની જ ગઈ છે, પરંતુ તેનાથી ઘણા રાજ્યોમાં કોંગ્રેસને પણ મોટો લાભ થઈ શકે છે.
સાંસદોના બળવાથી ભાજપ પાવરફુલ, પણ કોંગ્રેસ માટે જેકપોટ
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, AAPમાં બળવો કરનારા સાંસદ રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ અને સંદીપ પાઠક કેજરીવાલની રાજકીય પ્રયોગશાળામાંથી ઉભરી આવ્યા બાદ તેઓને સામાજિક અને રાજકીય ઓળખ મળી છે. આમ તો આ સાંસદોના બળવા બાદ ભાજપ પાવર ફુલ બની ગઈ છે, પરંતુ AAP પર આવેલું સંકટ કોંગ્રેસ માટે ખુશીની વાત છે. સાંસદોના બળવા બાદ કોંગ્રેસે પણ AAP પર આકરા પ્રહારો કર્યા હતા. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે એવું કહી દીધું હતું કે, ‘જ્યારે પૈસા વિચારધારા પર હાવી થાય, ત્યારે આવું જ થાય છે. જ્યારે પાર્ટી કોઈપણ નિયમો બનાવ્યા વગર નિર્ણયો લે છે, પાર્ટી પાસે વિચારધારા હોતી નથી અને તમે નાણાં લઈને રાજ્યસભા મેમ્બર બનાવી તેઓ પાસે કામની મદદ લો છો, તો પક્ષપલટો થવો સ્વાભાવિક છે.’
આ પણ વાંચો : AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
AAPમાં ઉથલ-પાથલ કોંગ્રેસને ફાયદો થવાની આશા
આમ આદમી પાર્ટીનો ઉદય થયા બાદ પાર્ટીએ અનેક રાજ્યોમાં ચૂંટણી લડી છે, જેમાં AAPના કારણે દરેક ચૂંટણીમાં કોંગ્રેસના મત કપાતા હોવાની પણ ચર્ચાઓ ચાલી છે. તેથી કેજરીવાલની પાર્ટી ઊંધા માથે પછડાયા બાદ રાજકીય વિશ્લેષકોના મતે હવે કોંગ્રેસને વધુ મતો મળવાની સંભાવના વધી ગઈ છે. વિશ્લેષકો માને છે કે વિપક્ષી મતોનું વિભાજન અટકવાથી સીધો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. આગામી સમયમાં કોંગ્રેસ માટે ગુજરાત, પંજાબ, દિલ્હી, ગોવા સહિત અનેક રાજ્યના રાજકારણમાં જેકપોટ સાબિત થઈ શકે છે.
કિરણ બેદીથી લઈને રાઘવ ચઢ્ઢા… અનેક નેતાઓએ AAPનો સાથ છોડ્યો
- આંદોલનમાં કેજરીવાલની સાથે રહેલા પૂર્વ પોલીસ અધિકારી કિરણ બેદીએ પાર્ટીનો સાથ છોડી દીધો હતો. તે પછી 2013માં પક્ષનો મોટો ચહેરા ગણાતી આપની નેતા શાજિયા ઈલ્મી પણ ભાજપમાં જોડાઈ ગઈ હતી.
- આ ઉપરાંત આનંદ કુમાર, કપિલ મિશ્રા અને કૈલાશ ગેહલોત સહિત અનેક નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. જ્યારે રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને સ્વાતિ માલીવાલે શરૂઆતથી જ પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, હવે આ નેતાઓએ પણ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.
- રાઘવ ચઢ્ઢા અને સ્વાતિ માલીવાલ કેજરીવાલના ખૂબ જ નજીકના હોવાનું કહેવાય છે. રાઘવ ચઢ્ઢાએ પંજાબમાં આપને સત્તામાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે સંદીપ પાઠક તો પહેલેથી જ પાર્ટીના રણનીતિકાર તરીકે દેખાતા હતા અને તેઓ સંગઠન મંત્રી તરીકે પણ કામ કરતા હતા.
આ પણ વાંચો : ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
એક સમયે AAPએ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી હતી
વાસ્તવમાં દિલ્હીમાં કોંગ્રેસે 1998થી 2013 સુધી સતત ત્રણ ટર્મ સત્તા સંભાળી હતી. ત્યારપછી 2011માં અન્ના હઝારેએ કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન કર્યું હતું અને આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલ પણ જોડાયા હતા. તે સમયે સ્થિતિ એવી ઊભી થઈ કે, આંદોલન નિષ્ફળ ગયું, પણ કેજરીવાલની કિસ્મત ચમકી ગઈ. આ દરમિયાન કેજરીવાલે આમ આદમી પાર્ટીની શરૂઆત કર્યા બાદ સત્તાધારી કોંગ્રેસનો આક્રમક વિરોધ શરૂ કરી દીધો હતો. નોબત એવી ઊભી થઈ કે, કેજરીવાલની વ્યૂહરચનાથી રાજધાનીનો આખો રાજકીય ખેલ બદલાઈ ગયો અને 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી. એટલું જ નહીં, તે પછીની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસની બેઠકો સતત ઘટતી ગઈ.















