Ahmedabad News: અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવી પાંચ સંતાનોનું ગુજરાન ચલાવતા વિધવા આરતીબહેનની લારી AMC દ્વારા જપ્ત કરી લેવાતા તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે. છેલ્લા બે મહિનાથી રોજગારી છીનવાઈ જવાથી આ પરિવાર પડોશીઓની મદદ પર નભી રહ્યો છે, જેના કારણે આજે(30 એપ્રિલ) રોષે ભરાયેલા મહિલા પોતાની લારી પરત મેળવવાની માગ સાથે દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ દોડી આવ્યા હતા. તંત્રના ઉદાસીન વલણ સામે વિરોધ નોંધાવતા મહિલાએ મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે જીદ કરી હતી અને રડતી આંખે ન્યાયની આજીજી કરી હતી.

રજૂઆત દરમિયાન એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા અવગણના કરવામાં આવતા મહિલાએ સિસ્ટમ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે હૈયાવરાળ ઠાલવતા ચીમકી આપી કે, જો આજે તેમની લારી પરત નહીં મળે તો તેઓ કાલથી પોલીસ ચોકી સામે જ દારૂ વેચવાનો ધંધો શરૂ કરી દેશે.
કચેરીના ઓટલા પર જ ધરણા
આરતીબેને ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તંત્ર માત્ર પ્રામાણિક ગરીબોને જ હેરાન કરે છે જ્યારે ગેરકાયદેસર ધંધા કરનારાઓ હપ્તા આપીને નિર્ભય બની ફરે છે. અધિકારીઓ દ્વારા તેમની વાત સાંભળવામાં ન આવતા અને સુરક્ષાકર્મીઓએ અટકાવતા તેઓ કચેરીના ઓટલા પર જ ધરણા પર બેસી ગયા હતા.
આ પણ વાંચો: મૃતકની આત્માએ પોતાને જ અપાવ્યો ન્યાય? અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હાડપિંજર
મામલો બિચકતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રડતા રડતા પોતાની વ્યથા વર્ણવતી મહિલાને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. મહિલાએ પોલીસ સમક્ષ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ નિયમ મુજબ દંડ ભરવા તૈયાર છે તેમ છતાં તંત્ર દ્વારા તેમની રોજગારી પાછી આપવામાં આવતી નથી અને તેમના બાળકો ભૂખ્યા મરી રહ્યા છે.















