![]()
રાજકોટ નજીક ગોંડલ ચોકડીએ ગોઝારો : અકસ્માત થાન અને રાજકોટમાં રહેતા 2 ભાઈઓ પત્ની સાથે ગોંડલ બેસણાંમાં ભાગ લઈ રાજકોટ આવતા હતા ત્યારે સ્કોર્પિયોરૂપી કાળ ત્રાટક્યો
રાજકોટ, : ગોંડલ ચોકડી પાસે આજે સાંજે ગોંડલથી રાજકોટ તરફ આવતી ઈકો ઉપર રાજકોટથી વાવડી તરફ જતી સ્કોર્પિયો ખાબકતા ઈકોમાં સવાર મૂળ થાનગઢના બે સગાભાઈના તેમની પત્નીઓની નજર સામે મોત નિપજયા હતા. આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર કુલ 9ને નાની-મોટી ઈજા થઈ હતી. જેમાંથી એક મહિલાની હાલત ગંભીર ગણાવાય છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શામજીભાઈ તળશીભાઈ પાટડિયા (ઉ.વ. 60) થાનગઢ રહે છે. તેના નાનાભાઈ મગનભાઈ (ઉ.વ. 55) ભાવનગર રોડ પર આરએમસી ઓફિસ સામે સિલ્વર બિલ્ડિંગની બાજુમાં રહે છે. આ બંને ભાઈઓના ગોંડલ રહેતા સંબંધીનું અવસાન થયું હતું. જેથી બંને ભાઈઓ પત્ની ગીતાબેન (ઉ.વ. 60) અને હંસાબેન (ઉ.વ. 45) ઉપરાંત રણછોડનગર વિસ્તારમાં રહેતા બહેન સરસ્વતીબેન ખીમજીભાઈ જગની (ઉ.વ. 63) સાથે ગોંડલ ગયા હતા. ગોંડલથી સાંજે ઈકોમાં રાજકોટ આવતા હતા ત્યારે જંગલેશ્વરથી વાવડી તરફ થતી સ્કોર્પિયોના ચાલકે ઓવર સ્પીડ કે બીજા કોઈ કારણસર સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો.
જેને કારણે સ્કોર્પિયો ડિવાઈડર કુદી સામેથી લેનમાંથી પસાર થતી ઈકો ઉપર ખાબકતાં આ અકસ્માત સર્જાયો હતો. જેને કારણે બંને વાહનોના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. ઈકોમાં સવાર શામજીભાઈ અને તેના ભાઈ મગનભાઈનું મૃત્યુ નિપજયુ હતું. બંનેના પત્ની અને બહેનને ઈજા થતાં સિવિલમાં ખસેડાયા હતા.
બીજી તરફ સ્કોર્પિયોમાં સવાર સાહિલ યાકુબભાઈ કુરેશી (રહે. કોઠારિયા સોલવન્ટ), ડ્રાઈવિંગ કરતાં ફિરોઝ મુનશરીફભાઈ પઠ્ઠાણ (રહે. બરકતીનગર, વાવડી), અરમાન શરીફભાઈ સોઢા, મહેબુબ યુસુફભાઈ અંસારી (રહે. બરકતીનગર), રેહાન શબ્બીરભાઈ ખાન અને શહિદ ઉલહકક (રહે. બરકતીનગર) ઘવાતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસે વધુમાં જણાવ્યું કે સ્કોર્પિયોમાં સવાર આ છએ જણાં જંગલેશ્વરમાં લગ્નપ્રસંગમાં ગયા હતા. જયાંથી કપડા બદલવા કે બીજા કોઈ કારણસર વાવડી તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જાણ થતાં આજી ડેમ પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો. ખરેખર કેવા સંજોગોમાં સ્કોર્પિયો ડિવાઈડર ટપી સામેની લેન તરફ ધસી ગઈ હતી તે સહિતના મુદ્દે પોલીસે તપાસ જારી રાખી છે.















