![]()
Biocon Founder Kiran Mazumdar Shaw: બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શૉએ અંદાજિત 60 હજાર કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી આ કંપનીની કમાન યુવા પેઢીને સોંપવાની તૈયારી કરી લીધી છે. તેમણે સત્તાવાર રીતે તેમની ભત્રીજી ક્લેર મઝુમદાર (Claire Mazumdar)ને તેમના ઉત્તરાધિકારી તરીકે નામિત કર્યા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાયોકોન જેવી દેશની બાયોફાર્મા કંપનીની કમાન ફરી એકવાર મહિલાના હાથમાં જ રહેશે. મહત્ત્વનું છે કે કિરણ મઝુમદાર છેલ્લા 48 વર્ષોથી કંપનીની કમાન સંભાળી રહ્યા છે.
કોણ છે ક્લેર મઝુમદાર?
ક્લેર મઝુમદાર 37 વર્ષીય બાયોટેક નિષ્ણાત છે. અગાઉ તેમણે થર્ડ રોક વેન્ચર્સ અને રહિયોસ મેડિસિન્સ જેવી સંસ્થામાં કામ કર્યું છે. તેમની કંપની બિહારા થેરાપ્યુટિક્સ 2024માં નેસ્ડેકમાં લિસ્ટ થઈ હતી. હાલ તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.6 અબજ ડોલરથી વધુ છે. આ સિવાય, ક્લેર મઝુમદાર પાસે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બાયોલોજિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી, સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA અને સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિનમાંથી કેન્સર બાયોલોજીમાં પીએચ.ડી કર્યું છે.
પરિવારના અન્ય લોકોને પણ જવાબદારી
આ ઉપરાંત, કંપનીના ભાવિ વિકાસ માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ક્લેરના ભાઈ એરિક મઝુમદારનો સમાવેશ થાય છે, જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર અને AI નિષ્ણાત છે, સાથે જ તેમના પતિ થોમસ રોબર્ટ્સ પણ છે, જે મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં ઓન્કોલોજિસ્ટ છે.
73 વર્ષીય મઝુમદારને ક્લેરમાં દેખાય છે સુરક્ષિત નેતૃત્વ
ફોર્ચ્યુન ઇન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં 73 વર્ષીય મઝુમદાર-શૉએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બાયોકોનને આગળ લઈ જવા માટે ક્લેરને એક યોગ્ય ઉત્તરાધિકારી તરીકે જુએ છે. તેઓ કંપની સુરક્ષિત અને સક્ષમ હાથોમાં સોંપવા માંગે છે. તેમણે ક્લેર મઝુમદારની નેતૃત્વ ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ક્લેરે પોતાની જાતને એક કુશળ લીડર તરીકે સાબિત કરી છે. જણાવી દઈએ કે કિરણ મઝુમદાર-શૉને કોઈ સંતાન નથી. ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, ‘બાયોકોનની માલિકી માત્ર મારી પાસે છે અને મારે એ સુનિશ્ચિત કરવું પડશે કે હું તેને સારા હાથોમાં સોંપું. મેં મારી ભત્રીજી ક્લેરને મારા ઉત્તરાધિકારી તરીકે માની છે કારણ કે મને લાગે છે કે તેણીએ મને એ સાબિત કરી દીધું છે કે તે એક કંપની ચલાવી શકે છે.’
કંપનીના નેતૃત્વમાં થશે મોટા ફેરફાર
ઓર્ગેનાઈઝેશન રિકન્સ્ટ્રક્ચરિંગ હેઠળ, બાયોકોને તેના જેનરિક અને બાયોલોજિક્સ બિઝનેસનું વિલીનીકરણ કર્યું છે, જેનાથી કંપનીએ પોતાનું માળખું સરળ બનાવ્યું છે અને દેવું ઘટાડ્યું છે. મઝુમદાર-શૉએ જણાવ્યું કે કંપની બાયોસિમિલર્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે. કંપનીની ઘણી પ્રોડક્ટ્સ પહેલાથી જ બજારમાં છે અને અન્ય ઘણી પ્રોડક્ટ્સ પાઇપલાઇન(તૈયારી)માં છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગ્રુપની તમામ કંપનીઓમાં નેતૃત્વ પરિવર્તન થઈ રહ્યા છે. શ્રીહાસ તાંબેએ બાયોકોન બાયોલોજિક્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે, જ્યારે સિદ્ધાર્થ મિત્તલ 1 જુલાઈથી સિન્જીન ઇન્ટરનેશનલનું નેતૃત્વ કરશે.
ઉત્તરાધિકારના આ સમાચારની અસર શેરબજાર પર પણ જોવા મળી હતી. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર બાયોકોનના શેરનું મૂલ્ય 2.28 ટકા વધીને રૂપિયા 368.65 પર પહોંચ્યું હતું. આ સાથે જ તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 59,673 કરોડ રૂપિયા નોંધાયું હતું.














