UPSC reforms 2026: કેન્દ્રીય માહિતી પંચ (CIC) દ્વારા UPSC સિવિલ સેવા પરીક્ષાના પરિણામોમાં પારદર્શિતા વધારવા માટે એક મોટી ભલામણ કરવામાં આવી છે. સામાન્ય રીતે અત્યાર સુધી પરિણામ જાહેર કરતી વખતે ઉમેદવાર કઈ મુખ્ય શ્રેણી (જેમ કે SC, ST અથવા OBC)માંથી આવે છે તેની જ વિગતો આપવામાં આવતી હતી. પરંતુ હવે CIC એ સૂચન કર્યું છે કે અંતિમ પસંદગી યાદીમાં ઉમેદવારની મુખ્ય શ્રેણીની સાથે તેની પેટા જ્ઞાતિ (Sub-caste)નો પણ ઉલ્લેખ કરવો જોઈએ.
આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે અનામત નીતિનો ખરેખર લાભ સમાજના એવા વર્ગો સુધી પહોંચે છે કે જેઓ હજુ પણ પછાત છે. ઘણીવાર એવું બને છે કે મુખ્ય શ્રેણીની અંદર અમુક જ જ્ઞાતિઓ વધુ લાભ મેળવતી હોય છે, જ્યારે અન્ય પેટા જ્ઞાતિઓ વંચિત રહી જાય છે. જો પરિણામોમાં આ વિગતો જાહેર કરવામાં આવે, તો અનામતના લાભોનું વિતરણ કેટલું સચોટ અને સમાન છે તેનું ચોકસાઈથી મૂલ્યાંકન કરી શકાશે.
RTI અરજી બાદ લેવાયો મહત્ત્વનો નિર્ણય
આ ભલામણ પાછળનો મુખ્ય હેતુ એ છે કે, એક વ્યક્તિએ RTI (માહિતી અધિકાર) હેઠળ વર્ષ 1995ની UPSC પરીક્ષામાં IAS તરીકે પસંદ થયેલા ઉમેદવારોની જ્ઞાતિવાર માહિતી માંગી હતી. જોકે, સરકારી વિભાગે જવાબ આપ્યો કે તેમની પાસે માત્ર SC, ST અને OBC જેવી મુખ્ય શ્રેણીઓનો જ ડેટા છે, કઈ પેટા જ્ઞાતિના કેટલા ઉમેદવારો છે તેની કોઈ વિગત ઉપલબ્ધ નથી.
આ બાબતને ધ્યાને રાખીને કેન્દ્રીય માહિતી પંચએ અવલોકન કર્યું કે જો ભવિષ્યમાં પરિણામોમાં જ્ઞાતિની સાથે પેટા જ્ઞાતિની જાણકારી પણ ઉમેરવામાં આવે, તો તેનાથી ઘણો ફાયદો થશે. તેનાથી એ સ્પષ્ટ રીતે જાણી શકાશે કે અનામતનો લાભ ખરેખર કયા જ્ઞાતિ સમૂહોને મળી રહ્યો છે અને કયા સમૂહો હજુ પણ વંચિત છે, જેથી અનામત નીતિનું વધુ સચોટ મૂલ્યાંકન કરી શકાય.
પારદર્શિતા અને અનામત નીતિનું સચોટ આકલન
કેન્દ્રીય માહિતી પંચે આ બાબત પર ભાર મૂકતા જણાવ્યું છે કે, જો પેટા જ્ઞાતિની વિગતો પણ જાહેર કરવામાં આવે, તો તેનાથી એ ચોકસાઈપૂર્વક જાણી શકાશે કે અનામતનો લાભ ખરેખર સમાજના દરેક નાના-મોટા અને વિવિધ સમુદાયો સુધી પહોંચી રહ્યો છે કે નહીં.
આ પણ વાંચો: ભાજપના દર છઠ્ઠા સાંસદે વોટ ચોરી કરી, હરિયાણા સરકાર ઘૂસણખોરોની..’, રાહુલ ગાંધીનો સૌથી મોટો પ્રહાર
હાલમાં UPSCના પોર્ટલ પર વર્ષ 2017 પછીની પરીક્ષાઓનો ડેટા માત્ર સામાન્ય શ્રેણીઓ (જેમ કે SC, ST, OBC) મુજબ જ ઉપલબ્ધ છે, જેમાં પેટા જ્ઞાતિનો કોઈ ઉલ્લેખ નથી. માહિતી પંચનું માનવું છે કે, આ નવી વ્યવસ્થા લાગુ થવાથી સરકાર માટે સામાજિક ન્યાયના કાર્યો કરવા અને અનામત નીતિને વધુ મજબૂત બનાવીને યોગ્ય વર્ગ સુધી પહોંચાડવાનું કામ ઘણું સરળ બની જશે.
CIC એ DoPTને આપ્યો આ આદેશ
પોતાના આદેશમાં CIC એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘પસંદ થયેલા ઉમેદવારોની અંતિમ યાદીમાં SC, ST, OBC જેવી શ્રેણીઓની સાથે પેટા જ્ઞાતિની વિગતો પણ સામેલ કરવામાં આવે, જેથી પારદર્શિતા સુનિશ્ચિત થઈ શકે.’ આ નિર્ણયને કારણે ભવિષ્યમાં UPSCના પરિણામોના ફોર્મેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જો આ ભલામણનો અમલ કરવામાં આવશે, તો ભારતીય વહીવટી સેવાઓમાં કઈ જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ કેટલું છે, તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
















