![]()
મુંબઈ : નવી જાહેર થયેલી ઈમરજંસી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ-૫.૦થી દેશના અંદાજે ૧.૧૦ કરોડ માઈક્રો, સ્મોલ એેન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) ખાતાને લાભ થશે.
આ સ્કીમ હેઠળ વેપારગૃહોને વધારાનો ક્રેડિટ ટેકો પૂરો પડાનાર છે, જેમને પશ્ચિમ એશિયાના સંઘર્ષથી અસર થઈ છે, એમ એસબીઆઈના એક રિપોર્ટમાં જણાવાયું છે.
દેશના એમએસએમઈ તથા કેટલાક નોન-એમએસએમઈ ક્ષેત્રોને વધારાની વર્કિગ કેપિટલ પૂરી પાડવા કેન્દ્રીય કેબિનેટે ઈમરજંસી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ-૫.૦ મંજુરી આપી છે.
એસબીઆઈના રિપોર્ટ પ્રમાણે સદર સ્કીમ હેઠળ અંદાજે ૧.૧૦ કરોડ એમએસએમઈ ખાતા લાભ લેવાને પાત્ર છે.આ એમએસએમઈને સરેરાશ રૂપિયા ૨થી રૂપિયા ૨.૩૦ લાખ સુધીની વધારાની ક્રેડિટ ઉપલબ્ધ થવા ધારણાં છે.
સદર સ્કીમ હેઠળ સરકારે રૂપિયા ૨.૫૫ લાખ કરોડ વધારાનો ધિરાણ પ્રવાહ અંદાજ્યો છે. સ્કીમના ટેકા સાથે નાના એકમો તથા એરલાઈન્સોને લિક્વિડિટીનો ટેકો ઉપરાંત અર્થતંત્રમાં રોજગાર ટકાવી રાખવામાં મદદ મળશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
આ અગાઉ કોરોના વખતે આવા પ્રકારની સ્કીમથી એમએસએમઈમાં સ્થિરતા ટકાવી રાખવામાં મદદ મળી હતી. તે વેળાની સ્કીમને કારણે આશરે ૧૩.૫૦ લાખ એમએસએમઈ ખાતા એનપીએમાં સરકી જતા અટકાવી શકાયા હતા.















