– દિલ્હીમાં 43 ડિગ્રી સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ, રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ
– ભારતમાં 22થી વધુ શહેરો 45 ડિગ્રીમાં ભડથું બન્યા : જનજીવન લૂથી ત્રસ્ત, ઉત્તર ભારતમાં હીટવેવનો હાહાકાર
– કેરળમાં 1લી જૂનને બદલે 26મી મેના દિવસે ચોમાસું બેસી જશે : દેશમાં એક સપ્તાહ વહેલાં વરસાદનો વર્તારો
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં લૂએ કાળો કેર વર્તાવ્યો છે. પાટનગર દિલ્હીથી લઈને ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવથી જનજીવનને અસર થઈ છે. કેટલાય જિલ્લાઓમાં આકરી ગરમીનો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આકરો તાપ પડશે એટલે લોકોને સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં વાતાવરણ પલટાયું હતું. હળવા વરસાદથી આંધીની આગાહી કરવામાં આવી છે. ગરમીથી ત્રસ્ત દેશવાસીઓ માટે રાહતની વાત એ છે કે ચોમાસાનું આગમન એક સપ્તાહ પહેલાં થઈ ચૂક્યું છે.
હવામાન વિભાગે ઉત્તર ભારત, મધ્ય ભારતમાં હીટવેવની આગાહી કરી છે. મધ્યપ્રદેશના ૩૧ જિલ્લામાં હીટવેટ એલર્ટ આપવામાં આવ્યો છે. દિલ્હીમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજસ્થાનમાં અમુક સ્થળોએ તો તાપમાન ૪૭ ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના ૧૫થી વધુ શહેરોનું તાપમાન ૪૫થી ૪૮ ડિગ્રીની આસપાસ રહેતા જનજીવનમાં હાહાકાર મચી ગયો હતો. ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે પંજાબના ભટિંડામાં ૪૭ ડિગ્રી તાપમાનથી હાહાકાર મચી ગયો હતો.
અમુક રાજ્યોમાં તો ભરબપોરે કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળતી હતી. હવામાન વિભાગે હજુય આગામી ચાર દિવસ લોકોને હીટવેવ અને લૂની ચેતવણી આપી છે.
દરમિયાન પશ્વિમ બંગાળમાં વરસાદ થયો હતો. પશ્ચિમ બંગાળના પાડોશી રાજ્યો – ઓડિશા, ઝારખંડ, બિહારમાં વરસાદ અને તોફાનની આગાહી છે. આગામી બે-ત્રણ દિવસમાં વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં બદલાયેલા વાતાવરણના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું. હિમાલયન રેન્જમાં આવેલા રાજ્યોમાં વાતાવરણ પલટાશે.
ઝારખંડ અને બિહારમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ખૂબ ગરમી પડતી હતી, પરંતુ વાતાવરણ બદલાતા રાહત મળી હતી. તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે. આંધ્ર અને કર્ણટકમાં ૬૦થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
હજુ એક સપ્તાહ સુધી દેશવાસીઓને ગરમીમાં બહુ રાહત મળવાની નથી, પરંતુ એ દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આંદામાન-નિકોબારથી જે ચોમાસુ ભારતમાં બેસે છે તેનું આગમન થઈ ચૂક્યું છે. આંદામાનમાં વરસાદ થયો હતો અને એ સાથે જ દેશમાં ચોમાસું બેસી ગયું છે. ચોમાસું આંદામાનથી કેરળ પહોંચતા લગભગ છ-સાત દિવસ થતાં હોય છે. અગાઉ હવામાન વિભાગે કેરળમાં ચોમાસાનું આગમન ૧લી જૂને થશે એવું કહ્યું હતું, પરંતુ હવે નવી ધારણા પ્રમાણે ૨૬મી મેના રોજ જ ચોમાસું બેસી જશે. તે હિસાબે દેશમાં ચોમાસાનું આગમન એક સપ્તાહ પહેલાં થશે અને જૂનની ગરમીથી રાહત મળશે.
હીટ સ્ટ્રેસથી બચવા સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગરિકોને ગરમીથી બચવા અને ગરમીના કારણે થતા સ્ટ્રેસથી બચવાની સલાહ આપી છે. હીટ સ્ટ્રેસથી બચવાની ભલામણ કરીને સ્વાસ્થ્ય મંત્રાલયે યોગ, શ્વાસોશ્વાસની ક્રિયા વગેરે કરવાની સલાહ આપી છે. આયુષ હેઠળ આવતી બાબતોનો ઉપયોગ કરવા જણાવાયું છે. તે ઉપરાંત ગરમીથી બચવા પાણી પીતા રહેવાની, ગરમીમાં માથું અને ચહેરો ઢાંકીને બહાર નીકળવાની અને બપોરે સૂર્યતાપના સીધા સંપર્કમાં ન આવવાની સલાહ પણ આપવામાં આવી છે. ઈમરજન્સી હેલ્પલાઈનનો ઉપયોગ કરવા કહેવાયું છે.















