મુખ્યમંત્રી ને લેખિત મૌખિક રજુઆતો કરવા સોમવારે પ્રતિનિધિ મંડળ પહોંચશે
અમરેલી જિલ્લા ના ધારાસભ્યો પણ સાથે જોડાઈ મુખ્યમંત્રી ને રજુઆત કરશે
લાખો લોકો માટે ઉપયોગી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી, ધારી-ચલાલા-વિસાવદર ના પ્રતિષ્ઠિત આગેવાનો આગામી તારીખ ૦૬/૦૭/૨૦૨૬ સોમવારે બપોરે રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને રૂબરૂ રજુઆત કરવા માટે પહોંચશે. આ વેળાએ રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક ભાઈ વેકરીયા, ધારાસભ્ય જેવી કાકડીયા, હીરા ભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા ની સાથોસાથ કિસાન મોરચાના પ્રમુખ હીરેન ભાઈ હીરપરા તેમજ આદરણીય શિક્ષક શાંતિલાલ પરમાર ખાસ હાજરી આપી ને અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે ની યોગ્ય રજૂઆત કરશે.
ઉલ્લેખનીય છે કે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા કરવામાં આવે તો ચલાલા, ધારી, વિસાવદર વિસ્તાર ના લાખો લોકો ને મોટા શહેરો સાથે કનેક્ટીવીટી મળશે અને આ સુવિધા થી વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. આ વિસ્તારના લાખો લોકો સુરત અમદાવાદ વડોદરા મુંબઈ જેવા શહેરો સાથે વેપાર થી સંકળાયેલા છે ત્યારે બ્રોડગેજ નાં માધ્યમથી મુસાફરી ની સાથોસાથ પરિવહન ને પણ વેગ મળશે. આંબરડી સફારી પાર્ક, ગળધરા ખોડીયાર મંદિર, સતાધાર, પરબધામ તેમજ ગીર જંગલ ના પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે અને પર્યટન સ્થળો નો વિકાસ થશે.
નોંધનીય છે કે મિશન બ્રોડગેજ અંતર્ગત ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં ધારી ચલાલા વિસાવદર ની જાહેર જનતા, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, ચુંટાયેલા રાજકીય આગેવાનો પણ આ અભિયાન માં જોડાયેલા છે. ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ની રૂબરૂ મુલાકાત લયને લેખિત મૌખિક રજુઆતો કરીને વહેલાં માં વહેલી તકે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સંતોષવામાં આવે તેવી આશાઓ ધારી પત્રકાર સંઘે વ્યક્ત કરેલ છે.














