![]()
– કલકત્તા હાઈકોર્ટે 2018નાં તેમના આદેશને જ ફરી ટાંક્યો
– પશ્ચિમ બંગાળ સરકારે પશુવધને લગતા જે નિયમો બનાવ્યા છે તેના પર સ્ટે મૂકવાનો કલકત્તા હાઈકોર્ટનો ઈનકાર
કલકત્તા : પશ્ચિમ બંગાળની સરકારે ૧૩મી મેના રોજ બકરી ઈદને લઈને નવું નોટિફિકેશન જારી કર્યું હતું. એ મુજબ બકરી ઈદે જાહેરમાં કુરબાની આપી શકાશે નહીં. તે ઉપરાંત ગાયના વધ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સામે કલકત્તા હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ નિયમ પર સ્ટે મૂકવાની માગણી થઈ હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જાહેરમાં પશુવધ થઈ શકે નહીં ને ગાયની કુરબાની ઈસ્લામમાં ફરજિયાત નથી.
કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ સુજોય પોલ અને ન્યાયધીશ પાર્થ સારથી સેનની બેંચે બકરી ઈદ પહેલાં પશુવધના સંદર્ભમાં થયેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી.
૧૪મી મેના રોજ પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે જાહેરમાં ગાયની કુરબાની પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન આપ્યું હતું. તેની સામે સ્ટે મૂકવા અરજદારે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ૨૭મી કે ૨૮મી મેના રોજ આવનારી બકરી ઈદના ઉત્સવ પર પશુબલી ધાર્મિક બાબત હોવાથી તેની પરવાનગી આપવાની માગણી અરજીમાં થઈ હતી.
એ અરજીમાં રાજ્ય વતી પણ દલીલો કોર્ટે સાંભળી હતી અને કેન્દ્રીય પ્રતિનિધિની દલીલો પણ સાંભળી હતી. એ પછી કલકત્તા હાઈકોર્ટે તેમનો જ ૨૦૧૮નો ચુકાદો યાદ અપાવીને કહ્યું હતું કે આ પહેલી વખતનું નોટિફિકેશન નથી.
અગાઉ ૨૦૧૮માં પણ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જાહેરમાં પશુવધ ન થવો જોઈએ.
વળી, ગાયની કુરબાની અનિવાર્ય નથી. ગાયની કુરબાની ઈસ્લામ ધર્મનો અભિન્ન હિસ્સો નથી એ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. કોર્ટે સરકારને તાકીદ કરી હતી કે માત્ર ગાયનો જ નહીં, ગાય-ભેંસ જેવા પશુઓનો જાહેરમાં વધ નહીં કરી શકાય એવી સ્પષ્ટતા સાથેનું નવું નોટિફિકેશન કોર્ટના આદેશના ૨૪ કલાકમાં જાહેર કરશો.















