![]()
વડોદરાઃ ખાલીખમ ક્લાસરુમો અને હાજરી નહીં પૂરવાના કલ્ચરના કારણે વગોવાઈ ગયેલી એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં નવા શૈક્ષણિક વર્ષથી ફરી એક વખત હાજરી ફરજિયાત કરવા માટેના પ્રયાસો શરુ કરાયા છે
કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મોટાભાગે કોચિંગ ક્લાસીસમાં જ ભણી લેતા હોય છે અને ફેકલ્ટીમાં ભણવા નથી આવતા ત્યારે કોમર્સમાં એફવાયમાં પ્રવેશના ભાગરુપે ઓનલાઈન પરીક્ષા પૂરી થયા બાદ કોમર્સ ફેકલ્ટી ડીને ચીમકી આપી છે કે, જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે કવોલિફાય થાય તેમને જો ગુલ્લા મારવાના હોય અને લેકચરમાં હાજર ના રહેવાનું હોય તો તેવા વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન ના લે.કારણકે જો તેમની નિયમ પ્રમાણે હાજરી નહીં હોય તો તેમને આગળના વર્ષમાં જવા દેવામાં નહીં આવે. આ વર્ષથી વિદ્યાર્થીઓની હાજરી પૂરવાનો નિયમ કડકાઈથી લાગુ કરવામાં આવશે.ફેકલ્ટી ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે સાથે સાથે કહ્યું હતું કે, રિપીટર વિદ્યાર્થીઓ ધો.૧૨ની પૂરક પરીક્ષામાં પાસ થાય તો પણ તેમને પ્રવેશ આપવામાં નહીં આવે.છેલ્લા ત્રણ વર્ષથી રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતા નથી.નિયમિત વિદ્યાર્થીઓ માટે બેઠકો ઓછી પડી રહી છે તો રિપીટર વિદ્યાર્થીઓ માટે બેઠકો ક્યાંથી લાવવી?















