Ahmedabad News: અમદાવાદમાં કોલસાના ટ્રેડિંગના નામે લાખો રૂપિયાની છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સસ્તા ભાવે કોલસો અપાવવાની લાલચ આપીને કંડલાના એક બ્રોકર સહિત પાંચ અલગ-અલગ કંપનીઓના માલિકોએ ભેગા મળીને બોડકદેવના એક વેપારી પાસેથી 64.30 લાખ રૂપિયા પડાવી લીધા છે. આરોપીઓએ માલ મોકલ્યા વગર જ ફેક બિલો અને ઈ-વે બિલ બનાવીને છેતરપિંડી આચરી હતી. આ મામલે ભોગ બનનાર વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
15% કમિશનની શરતે બ્રોકર એજન્ટ બન્યો અને ખેલ શરૂ થયો
મળતી માહિતી અનુસાર, બોડકદેવ વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન અંબાવી કેમિકલ મેન્યુફેક્ચરિંગ અને કોલસાના ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. વર્ષ 2022માં તેમની મુલાકાત કંડલાના રહેવાસી રાજ ઐયાચી સાથે થઈ હતી. રાજે પોતાની ઓળખ કોલસા માર્કેટના એક્સપર્ટ તરીકે આપી કિશનભાઈને સસ્તા ભાવે કોલસો અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ 15 ટકા કમિશનની શરતે તે કિશનની કંપનીમાં ઓથોરાઈઝ્ડ એજન્ટ તરીકે જોડાયો હતો. ડિસેમ્બર 2022થી જુલાઈ 2025 દરમિયાન બ્રોકર રાજે અન્ય કંપનીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું અને કુલ 64,30,968 રૂપિયાની ઠગાઈ આચરી હતી.
આ પણ વાંચો: છોટા ઉદેપુર: ભાજપ સાંસદ, પુત્ર અને તાલુકા પ્રમુખ સામે પોલીસ કેસ, જીતની ઉજવણીમાં બંદૂક લહેરાવવી પડી ભારે
અલગ-અલગ કંપનીઓના નામે આ રીતે ખંખેર્યા રૂપિયા
શરૂઆતમાં બ્રોકર રાજે આ કંપનીના પ્રતિક બોથરા પાસેથી માલ ખરીદવાનું કહી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાંથી 7,30,000 રૂપિયાનું પેમેન્ટ હજુ ફસાયેલું છે. બી. કે. ડી મિનરલ્સ કંપની પાસેથી કમિશનના 1,54,744 રૂપિયા લેવાના નીકળતા હતા, જે આજદિન સુધી ચૂકવાયા નથી. બ્રોકર રાજે ઇન્ડોનેશિયાથી કોલસો મંગાવવાના બહાને આ કંપનીના માલિક શક્તિસિંહના બેન્ક ખાતામાં 31,50,000 રૂપિયા જમા કરાવડાવ્યા હતા. ફરિયાદીએ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન લઈને આ રકમ ચૂકવી હતી, પરંતુ કોઈ માલ મળ્યો નહોતો.
આઇ એનર્જી નેચરલ રીસોર્સીસ લી. કંપનીના માલિક વાસુદેવ પમનાણીને 2,70,000 રૂપિયા ચૂકવાયા હતા, પરંતુ તેમણે માલ ફરિયાદીના બદલે બારોબાર અન્ય કોઈને મોકલી દીધો હતો અને કંપનીના નામના ફેક સર્વિસ બિલો બનાવી દીધા હતા. આ પેટે હજુ 2,16,224 રૂપિયા લેવાના બાકી છે. નવેમ્બર 2024માં કંપનીના માલિક ભક્તિબહેન ચાઉ પાસેથી માલ ખરીદવાના બહાને ફરીથી 13,80,000 રૂપિયા બેન્કમાં ટ્રાન્સફર કરાવ્યા, જેનો કોઈ માલ મળ્યો નહીં પરંતુ ફેક ઈ-વે બિલ જનરેટ કરી દેવાયા.
પોર્ટ પર મજૂરીના નામે 8 લાખ રોકડા પણ લીધા
આટલું ઓછું હોય તેમ બ્રોકર રાજે કંડલા પોર્ટ પર મજૂરો અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ નિકળ્યો હોવાનું બહાનું બતાવીને ફરિયાદી વેપારી પાસેથી 8 લાખ રૂપિયા રોકડા પણ પડાવી લીધા હતા.
આમ, પાંચેય આરોપીઓએ પરસ્પર મેળાપીપણું રચીને ફરિયાદી વેપારીને માલ મોકલ્યા વગર જ માત્ર કાગળ પર ફેક બિલો અને બોગસ ઈ-વે બિલ પધરાવી દીધા હતા. વેપારી કિશનભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આખરે તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે બ્રોકર રાજ ઐયાચી સહિત પાંચેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.















