![]()
Maharashtra Farm Loan Waiver : મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું કૃષિ ધિરાણ માફ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 56 લાખ ખેડૂતોના 65 લાખથી વધુ લોન ખાતાને સીધો ફાયદો થશે. માર્ચ 2026ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, આ યોજના હેઠળ સપ્ટેમ્બર 2025 સુધીના બાકી પાક ધિરાણને આવરી લેવામાં આવશે.
…તો ખેડૂતોને રૂ.50,000 સુધીનું પ્રોત્સાહન બોનસ મળશે
આ લોન માફી યોજનાના કારણે રાજ્ય સરકારની તિજોરી પર અંદાજે 36,585 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ આવશે. આ ઉપરાંત, કેબિનેટ બેઠકમાં નિયમિતપણે બેંક લોન ચૂકવતા ખેડૂતો માટે પણ મોટો નિર્ણય લેવાયો છે. પ્રામાણિકતાથી લોન ભરતા આવા ખેડૂતોને પ્રોત્સાહન સ્વરૂપે 50,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે. ચોમાસા અને ખરીફ સીઝન પહેલાં લેવાયેલો આ નિર્ણય ખેડૂતોને આર્થિક ટેકો આપશે.
આ પણ વાંચો : લોકરમાં પડેલું સોનું કેવી રીતે બદલી શકે છે દેશનું નસીબ? જાણો PM મોદીની ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ અપીલ પાછળનું કારણ
ચૂંટણી આચારસંહિતના કારણે સત્તાવાર જાહેરાત અટકી
આ યોજનાના સ્વરૂપ, પાત્રતા અને માપદંડો નક્કી કરવા માટે સરકારે અગાઉ એક સમિતિની રચના કરી હતી, જેનો રિપોર્ટ મળ્યા બાદ આ મંજૂરી આપવામાં આવી છે. આ લોન માફી 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા ‘મહાયુતિ’ ગઠબંધનનું મુખ્ય વચન હતું. જોકે, રાજ્યમાં હાલ વિધાન પરિષદની ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ હોવાથી, નિર્ણયની સત્તાવાર જાહેરાત અત્યારે કરવામાં આવી નથી. આચારસંહિતા પૂરી થયા બાદ સરકાર તેની વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડશે.
આ પણ વાંચો : ભાજપને ભારે પડશે અન્નામલાઈની નારાજગી? તમિલનાડુના રાજકારણમાં મોટા ફેરબદલના સંકેત















