![]()
Shiv Sena Rebellion Phase Two : મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના બંને જૂથો વચ્ચે ચાલી રહેલી લડાઈમાં ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. શિવસેના (UBT)ના 6 બળવાખોર સાંસદો સત્તાવાર રીતે ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેની અસલી શિવસેનામાં સામેલ થઈ ગયા છે. શિંદે જૂથમાં જોડાનારા સાંસદોમાં સંજય દીના પાટીલ, સંજય દેશમુખ, સંજય જાધવ, ભાઉસાહેબ વાકચૌરે, પાટીલ-અષ્ટિકર અને ઓમપ્રકાશ રાજેનિમ્બાલકરનો સમાવેશ થાય છે. આ સાંસદોએ તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ઉદ્ધવ જૂથની સંસદીય પક્ષની બેઠકથી અંતર જાળવી રાખ્યું હતું, ત્યારથી જ તેમના પક્ષપલટાની અટકળો તેજ થઈ ગઈ હતી.
શિંદેની ‘સિક્સર’ અને વિપક્ષ પર પ્રહાર: સાંસદોના પક્ષ પ્રવેશ સમયે એકનાથ શિંદેએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ‘અમે આ વખતે સિક્સર મારી છે. હવે મારી પાસે (સંજય રાઉત સામે) ત્રણ-ત્રણ સંજય છે. આ કોઈ સામાન્ય પક્ષપલટો નથી, પણ 2022ના બળવાનો બીજો તબક્કો છે. આ 6 સાંસદો નહીં, પણ 6 ટાઈગર શિવસેના પરિવારમાં આવ્યા છે.’ તેમણે ઉમેર્યું કે, ‘બાલાસાહેબ ઠાકરેની હિંદુત્વ વિચારધારાને બચાવવા માટે આ લડાઈ છે, જે લોકોએ વિચારધારા સાથે દ્રોહ કર્યો તેમને મતદારોએ પાઠ ભણાવ્યો છે.’
આ પણ વાંચો : મમતા બેનરજી ચેરમેન પદેથી આઉટ, અભિષેક TMCમાંથી સસ્પેન્ડ, બળવાખોર જૂથનો નિર્ણય
શા માટે થયો આ બળવો?: શિંદે જૂથમાં જોડાયેલા સાંસદ ઓમપ્રકાશ રાજેનિમ્બાલકરે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે, ‘વિપક્ષના સાંસદોને વિકાસ કાર્યો માટે ફંડ મળતું ન હોવાથી મતવિસ્તારના હિત માટે આ ટ્રેન્ડ ફોલો કરવો જરૂરી હતો. બીજી તરફ, ધારાસભ્ય મુરજી પટેલે કટાક્ષ કર્યો હતો કે, ‘ઉદ્ધવ ઠાકરે પોતાનો પક્ષ અને સાંસદોને સાચવવામાં નિષ્ફળ રહ્યા છે. મુખ્યમંત્રી શિંદેએ તમામ નવા સાંસદોને ખાતરી આપી છે કે તેમના વિસ્તારોના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.’















