રોગચાળો રોકવા માઇક્રો પ્લાનિંગ જરૂરી: તબીબોની રિઝર્વ ટીમો અને દવાઓનો જથ્થો તૈયાર રાખવા આરોગ્ય મંત્રીશ્રીની અધિકારીઓને સૂચના
ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સડક માર્ગે સુરત-નવસારી જવા રવાના

દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ વિરામ લે અને પૂરના પાણી ઓસરે તે પછી પાણીજન્ય તેમજ મોસમી રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ આરોગ્ય વિભાગની તમામ પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી

આ સમીક્ષા બેઠક અંગે માહિતી આપતાં આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પૂરના પાણી ઓસરતાં જ રોગચાળો અટકાવવા માટે ક્લોરીન ટેબલેટ્સ, જરૂરી દવાઓ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ કરાવી દેવાયો છે. આ ઉપરાંત, પૂરના કારણે આશ્રય શિબિરોમાં સ્થળાંતરિત કરાયેલા નાગરિકોનું તબીબી ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરવા અને તેમના આરોગ્યની પૂરતી કાળજી લેવા અંગે મંત્રીશ્રીએ ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી હતી.
આ ઉપરાંત, ભારે વરસાદને કારણે અંતરિયાળ અને સંપર્કવિહોણા બની શકે તેવા ગામોમાંથી સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવા માટે કરાયેલા વિશેષ આયોજન અને યાદી -લિસ્ટિંગ અંગે મંત્રીશ્રીએ બેઠકમાં વિગતવાર માહિતી મેળવી હતી.
આ ઉપરાંત, જે જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાંથી તબીબો અને મેડિકલ સ્ટાફની વધારાની ટીમોને ‘રિઝર્વ’ રાખવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી, જેથી જરૂર પડે ત્યારે તેમને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં ડેપ્યુટ કરી શકાય. પૂર પછી કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તે માટે અગાઉની સ્થિતિના અનુભવોને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની ઝીણવટભરી ચકાસણી આરોગ્ય મંત્રી શ્રી પાનશેરીયા દ્વારા કરવામાં આવી હતી.
આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર ખાતેથી તમામ નીતિવિષયક અને વહીવટી પ્લાનિંગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિની સીધી સમીક્ષા કરવા અને સ્થાનિક જરૂરિયાતોને તુરંત પૂરી કરવા માટે હું પોતે જ સડક માર્ગે સુરત અને નવસારી જવા રવાના થઈ રહ્યો છું. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે તેમ આરોગ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.














