રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી : રાષ્ટ્રવાદ, રાષ્ટ્રસુરક્ષા, એકતા, સંસ્કાર, સ્નેહ, સેવા અને પ્રકૃતિપ્રેમનો સુંદર સંદેશ
બપાડા : રક્ષાબંધન પર્વ નિમિત્તે જય જનની વિદ્યાસંકુલ-બપાડા દ્વારા ભાઈ-બહેનના પવિત્ર સ્નેહને સમાજસેવા, રાષ્ટ્રપ્રેમ અને માનવતાની ભાવના સાથે જોડીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાની બહેનોએ વિવિધ સેવાકીય સંસ્થાઓ, હોસ્પિટલ, પોલીસ વિભાગ તથા રાષ્ટ્રસેવામાં કાર્યરત વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓને રક્ષાસૂત્ર બાંધી તેમના સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી હતી.
રક્ષાબંધનની આ ઉજવણીનો પ્રારંભ ભાવનગરની અંકુર વિદ્યાલયના દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવ્યો હતો. બહેનોએ બાળકોને રક્ષાસૂત્ર બાંધી સ્નેહ અને સહાનુભૂતિનો સંદેશ આપ્યો હતો. તેમના જીવનમાં ખુશીઓ અને ઉત્સાહના નવા રંગો ભરાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
આ ઉપરાંત શાળાના સ્ટાફ દ્વારા અનાથાશ્રમ, ગરીબ સેવા વસ્તી અને ઝૂંપડપટ્ટીના બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના જરૂરિયાતમંદ અને વંચિત બાળકોના જીવનમાં આનંદ અને આશાનો સંચાર થાય તથા નિરાશામાં ઉત્સાહના પ્રાણ પૂરાય તેવા ભાવ સાથે તેમને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા.
આરોગ્યસેવા સાથે રક્ષાબંધન
સમાજના સ્વાસ્થ્યની સતત ચિંતા કરી નિષ્ઠાપૂર્વક સેવા આપતા આરોગ્યકર્મીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા અલંગ રેડક્રોસ હોસ્પિટલ, તળાજા સરકારી હોસ્પિટલ તથા આયુર્વેદિક હોસ્પિટલ-તળાજાના સમગ્ર સ્ટાફને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું. દર્દીઓની સતત સેવા કરતા તબીબો અને આરોગ્યકર્મીઓ સ્વસ્થ, નિરોગી અને દીર્ઘાયુ રહે તથા રાષ્ટ્રની આરોગ્યસેવામાં સતત યોગદાન આપતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
પોલીસ જવાનોને રક્ષાસૂત્ર
સમાજની સુરક્ષા માટે દિવસ-રાત તૈનાત રહેતા પોલીસ કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અલંગ પોલીસ સ્ટેશન, અલંગ મરીન પોલીસ સ્ટેશન અને તળાજા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફને બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું. દેશ અને સમાજની સુરક્ષા માટે સમર્પિત પોલીસ જવાનોના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે
રાષ્ટ્રસેવા અને સમાજસુરક્ષા માટે કાર્યરત બજરંગ દળ તળાજા ટીમને પણ બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધી તેમના સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સતત સેવાભાવ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ સાથે દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રસેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય સેના—આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો, શિક્ષણ શાખા ગાંધીનગર, શિક્ષણ કચેરી ભાવનગર, જિલ્લા વહીવટી તંત્ર, મામલતદાર કચેરી, તળાજા તાલુકા પંચાયત તથા તળાજા નગરપાલિકા સહિત રાષ્ટ્ર અને સમાજની સેવા સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓ પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
લોક સેવા સેતુ, તળાજાની મુલાકાત મેળવીને ગરીબ લોકે ને ફ્રીમાં ફોર્મ ભરીને જે સહનીય કામગીરી કરવામાં આવે છે તે બાબતે પ્રોત્સાહન આપવામાં આવ્યું અને શાળાના બહેનો દ્વારા રક્ષા સૂત્ર બાંધવા આવ્યું..
શાળામાં પણ ઉજવણીનો માહોલ
જય જનની વિદ્યાસંકુલમાં ભાઈઓ અને બહેનોએ એકબીજાની રક્ષા, સન્માન અને સહકાર માટે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ બહેનોએ ભાઈઓની કાંડા પર પ્રેમ અને રક્ષણનું પ્રતીક એવા રક્ષાસૂત્ર બાંધ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા “રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના સંબંધનો પર્વ નથી, પરંતુ પરસ્પર સ્નેહ, સેવા, સુરક્ષા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને મજબૂત બનાવવાનો પવિત્ર અવસર છે” એવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
જય જનની વિદ્યાસંકુલની બહેનોએ રક્ષાબંધન પર્વને માત્ર પરંપરાગત રીતે નહીં પરંતુ માનવતા, સેવા, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારી સાથે જોડીને અનોખી ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉલ્લાસ, લાગણી અને સેવાભાવથી ભરપૂર રહ્યો હતો.















