આ કાર્યક્રમમાં ધારીના મામલતદાર પરમાર સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈ સાવલિયા, ચલાલા શહેર નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, શાંતિલાલ પરમાર, ગૌતમભાઈ દાફડા, સુરેશભાઈ ગમારા તેમજ દામાણી હાઈસ્કૂલના આચાર્ય બારડ સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વન વિભાગનો સ્ટાફ, શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ અને પ્રેસ-મીડિયાના મિત્રો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવી પર્યાવરણની જાળવણી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વૃક્ષો માત્ર પર્યાવરણનું રક્ષણ જ નહીં, પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ હવા, હરિયાળું વાતાવરણ અને કુદરતી સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
વન મહોત્સવના ભાગરૂપે વિદ્યાર્થીઓને લીલી ઝંડી આપી રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રોપાઓ સ્વીકારી પોતાના ઘરે તથા આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી તેની જાળવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સરકારના “એક પેડ મા કે નામ” અભિયાનને પણ આગળ ધપાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની જવાબદારીપૂર્વક જાળવણી કરવી જોઈએ અને સમાજમાં પણ વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ તેવો સંદેશ ઉપસ્થિત મહાનુભાવોએ આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પ્રેસ-મીડિયાના મિત્રો દ્વારા સતત કરવામાં
આવતી જનજાગૃતિ અને લોકહિતની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે પ્રેસ-મીડિયાના પ્રતિનિધિ ટીનુભાઈ લલિયા નું સન્માન કરી તેમના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.
દામાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ વન મહોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો” અને હરિયાળું ગુજરાત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આમ, ધારી તાલુકા કક્ષાનો 77મો વન મહોત્સવ વૃક્ષારોપણ, રોપા વિતરણ, પર્યાવરણ જાગૃતિ અને પ્રેસ-મીડિયાના સન્માન સાથે ઉત્સાહભેર ઉજવાયો હતો.















