![]()
વડોદરા, તા.10 મહેસૂલ વસૂલવાની સત્તા સિટિ સર્વે કચેરીઓ પાસેથી લઇને તલાટીઓને સોંપવાના પરિપત્ર બાદ સિટિ સર્વે કચેરીઓએ મહેસૂલ લેવાનું બંધ કરી દીધું છે પરંતુ તલાટીઓ દ્વારા પણ મહેસૂલની રકમ લેવાતી નહી હોવાથી મહેસૂલ ભરવા ઇચ્છતા નાગરિકોને છેલ્લા પાંચ દિવસથી હેરાન પરેશાન થવું પડે છે.
રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક દ્વારા તા.૫ના રોજ પરિપત્ર બહાર પાડીને છેલ્લા સાત વર્ષથી ચાલતી સિસ્ટમ પર પડદો પાડી દઇ જૂની સિસ્ટમ મહેસૂલ વસૂલવા માટેની ચાલુ રાખવા રાજ્યના દરેક જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી જણાવ્યું હતું. આ પત્ર સિટિ સર્વે કચેરીઓમાં તો પહોંચી ગયો છે જેથી આ કચેરીઓેએ તાત્કાલિક મહેસૂલની વસૂલાત કરવાનું બંધ કરી દઇ હવે તલાટી ઓફિસમાં જવાનું તેમ લોકોને જણાવવામાં આવતું હતું.
જ્યારે મહેસૂલ ભરવા માટે મિલકતના માલિક સિટિ સર્વે કચેરીમાંથી તલાટી ઓફિસમાં જાય ત્યારે તલાટી દ્વારા સ્પષ્ટ જણાવી દેવાય છે કે અમોને મહેસૂલ ભરવાની સત્તા છે જ નહી તમારે સિટિ સર્વે કચેરીમાં જ જઇને રકમ ભરવાની હોય છે. આમ મહેસૂલ ભરવા માટે મિલકતના માલિકને એક કચેરીમાંથી બીજી કચેરીમાં ધક્કા ખાવાનું શરૃ થઇ ગયું છે.
સરકાર દ્વારા મહેસૂલ ભરવા માટે ચોક્કસ અમલ થાય તે માટે સિસ્ટમ ગોઠવવા કરતા સીધો પત્ર લખી દેતા હવે બંને કચેરીઓ વચ્ચેની ખેચતાણમાં લોકો હેરાન થઇ રહ્યા છે. મહેસૂલ ક્યાં ભરવું તે સ્પષ્ટતા થઇ હોવા છતાં તલાટી ઓફિસોમાં સિસ્ટમ ગોઠવાઇ નહી હોવાથી તેઓ મહેસૂલની રકમ લેવા તૈયાર જ નથી. છેલ્લા પાંચ દિવસથી લોકોને સરકારને મહેસૂલ ભરવા માટે એક કચેરીમાંથી બીજી કચેરીમાં ધરમના ધક્કા થઇ રહ્યા છે.
















