![]()
વડોદરાઃશહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે તા.15મીએ શિવજી કી સવારી સહિત ૨૦ થી વધુ સ્થળોએ શોભાયાત્રા નીકળનાર હોવાથી શહેર પોલીસે આયોજકો સાથે મીટિંગ કરી ટ્રાફિક મેનેજમેન્ટ સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.
શહેરમાં એકતરફ ઠેકઠેકાણે ખાડાઓ ખોદવામાં આવ્યા છે ત્યારે બીજીતરફ મહા શિવરાત્રીએ અનેક વિસ્તારોમાં શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવનાર છે.જેને અનુલક્ષીને અવ્યવસ્થા ના સર્જાય તે માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડીજે,ટ્રાફિક,નિર્ધારીત રૃટ નહિ બદલવા,ભંડારા અને મહાપ્રસાદી જેવા કાર્યક્રમો મુખ્ય માર્ગ પર નહિ કરવા સહિતના મુદ્દે સૂચનાઓ આપવામાં આવી હતી.
પોલીસની અપીલને પગલે મહા શિવરાત્રીના મુખ્ય ઉત્સવ શિવજી કી સવારી દરમિયાન ચાર દરવાજા વિસ્તારમાં ડીજે બંધ રાખવાનો અને બેન્ડ સાથે યાત્રા આગળ ધપાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.જો કે, પોળના નાકે નાના ડીજે કે સ્પીકરો વગાડી શકાશે.
મીટિંગમાં કોર્પોરેશન,ફાયર બ્રિગેડ, વીજ કંપની સહિતના વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કોર્પોરેશનને શિવજી કી સવારીના રૃટ પર જર્જરિત મકાનોને તપાસવા માટે તાકીદ કરવામાં આવી હતી.
હાર્ટ એટેકના કિસ્સાઓ બનતા હોવાથી મેડિકલ ટીમો અને એમ્બ્યુલન્સ તૈયાર રહેશે
હાર્ટ એટેકના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને શિવજી કી સવારીમાં હજારો ભક્તો ઉમટતા હોય છે.જેથી પોલીસ કમિશનરે સયાજી હોસ્પિટલ તેમજ રૃટ દરમિયાન જુદાજુદા પોઇન્ટ પર એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમો પણ તૈયાર રાખવા માટે કોર્પોરેશન અને હોસ્પિટલના સત્તાધીશોને સૂચના આપી છે.આવી જ રીતે ઉજવણી દરમિયાન ક્યાંય પણ એમ્બ્યુલન્સોને અવરોધ ના પડે તેની પણ કાળજી રાખવા આયોજકોને અપીલ કરવામાં આવી છે.















