![]()
– 85 દિવસ પૂર્વે પ્રેમિકાને પામવા શખ્સે 3 હત્યા કરી હતી
– વનકર્મીએ પત્ની, પુત્ર અને પુત્રીને ઓશિકા વડે ગૂંગળાવી મોત નિપજાવી ખાડામાં દાટી દીધા હતા
ભાવનગર : ભાવનગર વનવિભાગમાં ફરજ બનતા એસીએફએ પ્રેમિકાને પામવા માટે તરકટ રચી પત્ની, પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતારી ફોરેસ્ટ કોલોની પટાંગણમાં ખાડો ખોદી દાટી દીધા હતા ત્યારબાદ પરિવાર ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે કરી હતી. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેવો ઘાટ ઘડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એસીએફના તરકટનો પર્દાફાશ થતા પોલીસે તેને સુરતથી ઉઠાવી લીધો હતો. આ સમગ્ર ચકચારી ઘટનાના ૮૫માં દિવસે એસઆઇટીએ કોર્ટમાં ૧૫૦૦ પાનનું ચાર્જશીટ રજૂ કર્યું છે.
૧૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ ભાવનગરમાં માનવીનું હૃદય દ્રવી ઊઠે તેવી ચકચારી ઘટના બની હતી જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. ભાવનગર વન વિભાગના અધિકારીએ પોતાની પત્નિ અને બે બાળકો મળી એક સાથે ત્રણ હત્યાને અંજામ આપી ખાડો ખોદી મૃતદેહને દાટી દીધા હતા. ભાવનગરમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા નામના નિર્દયી શખ્સે પ્રથમ ભરતનગર પોલીસ મથકમાં પત્ની નયનાબેન અને પુત્રી પૃથ્થા અને પુત્ર ભવ્ય ભાવનગરથી સુરત જવા માટે નિકળ્યા હતા અને ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી અને વારેવારે પોલીસ મથકે તપાસ કરવા માટે પણ જતો હતો ત્યારબાદ શૈલેષ ખાંભલા કામ હોવાનું બહાનું ધરી સુરત જતો રહ્યો હતો. દરમિયાનમાં શૈલેષ ખાંભલાના પરિવારના સીડીઆરની તપાસ કરવામાં આવતા ઈનપુટ મળ્યું હતું.કે, શૈલેષ ખાંભલા દ્વારા ફોરેસ્ટ કોલોનીમાં ખાડો ખોદવામાં આવેલો અને તે ખાડો બુરવામાં આવ્યો હતો. આ ઇનપુટ આધારે મેજિસ્ટ્રેટ, સરકારી પંચો, વિડીયોગ્રાફર, એફએસએલ અધિકારી અને ડોગ સ્કોર્ડ સાથે જે જગ્યા હતી ત્યાં ખોદકામ કરતાં શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન, પૃથ્થા અને ભવ્યના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવમાં સરકાર સરકાર તરફે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પ્રેમિકાને પામવા શૈલેષ ખાંભલાએ ત્રણેની હત્યા કરી ફોરેસ્ટ કોલોની પટાંગણમાં દાટી દીધા હતા. જોકે પોલીસે તુરંત એકશનમાં આવી સુરતથી શૈલેષ ખાંભલાને ઝડપી લીધી હતો. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. જ્યારે શૈલેષ ખાંભલા વિરૂધ્ધ આજે એસઆઇટી દ્વારા કોર્ટમાં સજ્જડ પુરાવા સાથે ૧૫૦૦ પાનની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
સાંયોગિક પુરાવા અને 90 લોકોના નિવેદન સાથેનું ચાર્જશીટ
એસઆઇટી દ્વારા ૮૫માં દિવસે સાયોગિક પુરાવાના આધારે ૧૫૦૦ પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. પોલિસે તપાસ દરમિયાન ૯૦ લોકોના નિવેદન નોંધ્યા હતા. જેમાં પંચો, ફોરેસ્ટ કર્મચારીઓ, પોલિસકર્મીઓ, આજુબાજુના લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ ૧૬૪ મુજબ ૩ ફોરેસ્ટ અધિકારી અને ૧ ફોરેસ્ટ મહિલા વનકર્મીના નિવેદનો લેવામાં આવ્યા હતા. શૈલેશ ખાંભલાની ઓળખ પરેડ કરવામાં આવી હતી સાથે સીસીટીવી ફૂટેજ, એફએસલ રિપોર્ટ સાથે ચાર્જશીટ રજૂ કર્યું હતું. જ્યારે સાયોગિક પુરાવાના આધારે પોલિસે કેસને સજ્જડ કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું.
સ્પેશિયલ પીપીની માંગણી કરાઇ : ડીવાયએસપી
ડીવાયએસપી આર.આર.સિંઘલે જણાવ્યું હતું કે, આ બનાવને લઈ એસ.પી.નિતેશ પાંડેય દ્વારા એક એસઆઇટીની રચના કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી, એલસીબી, પીએસઆઇ અને બે રાઈટરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ચાર્જશીટ એસઆઇટી દ્વારા તૈયાર કરવામાં આવી છે. તદુપરાંત આ કેસમાં શૈલેષ ખાંભલાને સજા થાય તે અનુસંધાને સ્પેશિયલ પીપીની માંગણી એસ.પી નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવેલી છે.
















