Junagadh Mahashivratri Mela: જૂનાગઢના ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાતો ભવનાથનો મેળો એટલે સાધુ-સંતો અને અઘોરીઓનો મહાકુંભ. આ મેળામાં અનેક સંપ્રદાયના સાધુઓ આવે છે, જેમાં ‘જંગમ સાધુઓ’ પોતાનું એક વિશિષ્ટ અને આગવું મહત્ત્વ ધરાવે છે. ભાવિકો શિવરાત્રીના મેળામાં આવતા નાગા સાધુઓને ભેટ ઘરતા હોય છે, જ્યારે આ સાધુઓએ પણ જંગમ સાધુઓને દક્ષિણા આપવાનો અનેરો ઇતિહાસ છે.
જાણો શું છે પરંપરા
જંગમ શબ્દનો અર્થ ગતિશીલ અથવા જે સ્થિર નથી તે. આ સાધુઓ શૈવ સંપ્રદાય વીરશૈવ અથવા લિંગાયત સાથે જોડાયેલા હોય છે. તેઓ માને છે કે ભગવાન શિવ કોઈ એક મંદિરમાં સીમિત નથી, તેથી તેઓ સતત ભ્રમણ કરતા રહીને શિવતત્ત્વનો પ્રચાર કરે છે. જંગમ સાધુઓ તેમના પહેરવેશથી તુરંત ઓળખાઈ આવે છે.
ભવનાથના મેળામાં જંગમ સાધુઓનું મહત્ત્વ ધામક અને સાંસ્કૃતિક બંને રીતે છે. જંગમ સાધુઓ ક્યારેય સંસારીઓ પાસેથી ભિક્ષા લેતા નથી. તેઓ ભગવાન શિવના ગુણોનું ગાન કરે છે અને માત્ર સાધુઓ પાસેથી જ દક્ષિણા સ્વીકારે છે. તેઓ મોટે ભાગે હરિયાણા, પંજાબ અને દક્ષિણ ભારતથી ખાસ જૂનાગઢ આવે છે. આમ, ભવનાથનો મેળો એ માત્ર મનોરંજન નથી, પણ ભારતની સનાતન સંસ્કૃતિ અને અધ્યાત્મનો જીવંત પુરાવો છે, જેમાં જંગમ સાધુઓ શિવભક્તિના રંગ ઉમેરે છે.
આ પણ વાંચો: શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા
પાઘડીમાં મોરનાં પીંછાંની કલગી, ગળે રુદ્રાક્ષની માળા, વસ્ત્રોમાં ઘૂઘરી એ એમની આગવી ઓળખ
જંગમ સાધુઓ તેમની પાઘડી પર મોરનાં પીંછાંની સુંદર કલગી ધારણ કરે છે, જે તેમની મુખ્ય ઓળખ છે. તેમના વસ્ત્રોમાં કે લાકડીમાં નાની-નાની ઘંટડીઓ અને ઘૂઘરીઓ બાંધેલી હોય છે. જ્યારે તેઓ ચાલે છે, ત્યારે આ ઘંટડીઓનો મધુર અવાજ વાતાવરણને શિવમય બનાવી દે છે. તેઓ ગળામાં રુદ્રાક્ષની માળાની સાથે ચાંદીની ડબ્બીમાં નાનું ‘જંગમ શિવલિંગ’ પણ ધારણ કરે છે.
શિવજીના લગ્ન પ્રસંગે પૃથ્વી પર આવ્યા હોવાની લોકવાયકા
એવું માનવામાં આવે છે કે જંગમ સાધુઓ શિવજીના લગ્ન પ્રસંગે ગીતો ગાવા અને નૃત્ય કરવા માટે પૃથ્વી પર આવ્યા હતા. લોકવાયકા મુજબ, જ્યારે ભગવાન શિવે હિમાલયમાં લગ્ન કર્યા, ત્યારે જંગમ સાધુઓએ શિવ સ્તુતિ અને નૃત્ય દ્વારા દેવતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આજે પણ તેઓ મેળામાં શિવકથાઓ અને ભજનો લયબદ્ધ રીતે ગાઈને ભક્તોને રિઝવે છે. મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી શાહી રવેડીમાં જંગમ સાધુઓ તેમના પરંપરાગત વાદ્યો અને નૃત્ય સાથે આકર્ષણનું કેન્દ્ર બને છે.
















