PM Modi In Assam: આસામમાં ચાલુ વર્ષ વિધાનસભાની ચૂંટણી આવશે તે પહેલા જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ચૂંટણી રણમાં રાજનૈતિક પાર્ટીઓએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વચ્ચે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢમાં વાયુસેનાના C-130 એરક્રાફ્ટથી પહોંચ્યા હતા. મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલીટી (ELF) પર લેન્ડિંગ કર્યું હતું. જે બાદ 3,030 કરોડના ખર્ચે બ્રહ્મપુત્ર નદી પર બનેલા ભાસ્કર વર્મા સેતુ અને IIM ગુવાહાટીના ટેમ્પરરી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.
‘કોંગ્રેસ આસામનો વિકાસ ક્યારેય નહીં કરી શકે’
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જંગી જનસભાને સંબોધન કર્યું હતું, જેમાં પહેલાના કોંગ્રેસ શાસન પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકાર તરફથી આસામને તમામ વિકાસ પરિયોજનાઓ માટે 5.50 લાખ કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે. જે કોંગ્રેસ આસામના વિકાસ માટે પૈસા આપવાથી બચતી હોય, તે કોંગ્રેસ આસામનો વિકાસ ક્યારેય નહીં કરી શકે’
કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડે છે: પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે પુલવામા હુમલાની વરસી પણ છે. હું આ હુમલામાં જીવ ગુમાવનારા ભારતના વીર સપૂતોને નમન કરું છું. આ હુમલા બાદ ભારતે જે રીતે આતંકવાદીઓને સજા આપી તે આખી દુનિયાએ જોયું. શું દેશહિત માટે આટલું સાહસ કરવાની હિંમત કોંગ્રેસમાં હતી? કોંગ્રેસ નેતાઓ નિવેદન આપીને છૂટા થઈ ગયા હોત. આજની કોંગ્રેસ તો દેશનું ખરાબ વિચારનારા આતંકવાદીઓને ખભે બેસાડે છે. સ્વતંત્રતા સમયે મુસ્લિમ લીગે દેશના ભાગલા પડાવ્યા. હવે આજની કોંગ્રેસ એટલે કે મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ MMC બનીને દેશના ભાગલા પાડવા પ્રયાસ કરી રહી છે. તેથી આસામની જનતાએ કોંગ્રેસથી સાવધાન થઈ જવાની જરૂર છે.
‘પ્રધાનમંત્રી રાહત યોજનાને મંજૂરી’
‘કોંગ્રેસના શાસન દરમિયાન, 3G અને 4G ટૅક્નોલૉજી રજૂ કરવામાં આવી હતી, અને 2જી કૌભાંડ થયું હતું, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આસામ અને નોર્થ-ઈસ્ટમાં તેનો ઝડપથી વિસ્તાર કરવા માટે સખત મહેનત કરી ન હતી. દેશમાં 6 AIIMS હતી, પરંતુ આજે 20થી વધુ છે. ગુવાહાટી ઉપરાંત, આસામમાં ઘણી મેડિકલ કૉલેજો ખોલવામાં આવી. ગઈકાલે, પ્રધાનમંત્રી રાહત યોજનાને મંજૂરી મળી જેથી હવે અકસ્માતમાં ઈજા થવા પર કેન્દ્ર સરકાર 1.50 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપશે.’
કોંગ્રેસ વોટ બૅંકના ચશ્મા દ્વારા બધું જોતી
વધુમાં વડાપ્રધાને કહ્યું કે ‘કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ, તેની વોટ બૅંક નીતિઓ, હંમેશા વોટ બૅંકના ચશ્મા દ્વારા બધું જોતી હતી. કોંગ્રેસના શાસન દરમિયાન, કેન્દ્ર સરકારની યોજનાઓને આસામ સુધી પહોંચવામાં વર્ષો લાગ્યા. ભાજપે હંમેશા નોર્થ-ઈસ્ટના વિકાસને પ્રાથમિકતા આપી, આસામમાં એક સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ બની રહ્યો છે, આસામી ચાની જેમ, આસામી ચિપ્સની પણ દુનિયાભરમાં ચર્ચા થશે. ચાથી લઈને ચિપ્સ સુધી આસામની વિકાસ યાત્રા સ્પષ્ટ દેખાય છે. હું આસામને વચન આપું છું કે, તમે મને આપેલો પ્રેમ હું વિકાસ દ્વારા વ્યાજ સહિત પરત કરીશ.’
આ પણ વાંચો: કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત
‘કોંગ્રેસમાં ગભરાહટ મોદી આ બધું કેવી રીતે કરી લે છે’
‘આઝાદીના સમયે મુસ્લિમ લીગે દેશના ભાગલા કરાવ્યા. આજની કોંગ્રેસ મુસ્લિમ લીગ બનીને દેશના ભાગલા કરવા માંગે છે. અહીંના યુવાનોને કોંગ્રેસનું કુશાસન યાદ નહીં હોય, કોંગ્રેસની સરકાર ભલે આસામની હોય કે દિલ્હીની, તેમણે આસામને તેના હાલ પર છોડી દીધું હતું. કોંગ્રેસે દેશને ખતરામાં મૂકી રાખ્યો હતો. કોંગ્રેસે જ્યારે પણ સેના માટે હથિયારો ખરીદ્યા, તેનો અર્થ હજારો કરોડનો કૌભાંડ હતો. દેશ પોતાની સેનાઓને મજબૂત કરી રહ્યો છે. ભારત સરહદો પર શાનદાર હાઇવે, ટનલ, બ્રિજ બધું બનાવી રહ્યું છે, દેશની સુરક્ષા વધારી રહ્યું છે, તેથી કોંગ્રેસ ગભરાયેલી છે કે મોદી આ બધું કરી કેવી રીતે લે છે.’
















