![]()
Naxalites Surrender in Chhattisgarh : ભારતને નક્સલમુક્ત બનાવવાના અભિયાનમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં મંગળવારે એક મહિલા સહિત કુલ 22 નક્સલીઓએ હિંસાનો માર્ગ છોડી સુરક્ષાબળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ ઘટનાને નક્સલવાદ વિરુદ્ધના જંગમાં એક નિર્ણાયક સિદ્ધી માનવામાં આવી રહી છે.
નક્સલીઓ સરકારની નીતિથી પ્રભાવિત
વધારાના પોલીસ અધિક્ષક રોહિત શાહ અને CRPFના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ નક્સલીઓ સરકારની આત્મસમર્પણ નીતિ અને ‘પૂના મારગેમ’ (નવો રસ્તો) પુનર્વસન અભિયાનથી પ્રભાવિત થયા હતા. છેલ્લા ઘણા સમયથી નક્સલી વિસ્તારોમાં સુરક્ષા કેમ્પની સ્થાપના અને રસ્તાઓના નિર્માણ જેવા વિકાસકાર્યોને કારણે માઓવાદી સંગઠનોની પકડ નબળી પડી છે.
હિંસા છોડી મુખ્યધારા તરફ વળ્યા નક્સલીઓ
આત્મસમર્પણ કરનાર નક્સલીઓએ જણાવ્યું કે, તેઓ પોકળ વિચારધારા અને હિંસાથી કંટાળીને હવે સામાન્ય જીવન જીવવા માંગે છે. સુકમા પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે આ અંગે માહિતી આપતા કહ્યું કે, શરણાગતિ સ્વીકારનાર તમામ સભ્યોને સરકારના નિયમ મુજબ આર્થિક સહાય અને પુનર્વસન માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ સન્માનપૂર્વક સમાજની મુખ્યધારામાં જીવી શકે.
આ પણ વાંચો : ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો
સુરક્ષાબળોનું સંયુક્ત ઓપરેશન
આ મોટી સફળતા પાછળ જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG), જિલ્લા પોલીસ દળ, CRPF અને કોબ્રા બટાલિયનના જવાનોની સખત મહેનત રહેલી છે. સુરક્ષાબળો દ્વારા ચલાવવામાં આવતા સતત સર્ચ ઓપરેશનને કારણે નક્સલીઓ પર દબાણ વધ્યું હતું, જેના પરિણામે આટલી મોટી સંખ્યામાં નક્સલીઓએ હથિયાર છોડવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી

















