Mundra News : કચ્છના મુન્દ્રામાં કાંડાગરા ગામ પાસે આવેલી MPL કોલોનીમાં ઉશ્કેરાયેલા મજૂરોએ પોલીસ વાહનો પર પથ્થરમારો કરી આગ ચાંપી હતી. MPL લેબર કોલોનીમાં આપઘાત કરનાર એક શ્રમિકના મૃતદેહને પીએમ માટે ન ખસેડવા શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
મજૂરોએ પોલીસો વાહન પર પથ્થરમારો કરી આગ ચાંપી
મળતી માહિતી મુજબ, મુન્દ્રામાં MPL લેબર કોલોનીમાં નીરજકુમાર ભાગેન્દ્ર મહતો(ઉં.વ.31) નામના શખસે આપઘાત કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ગત મંગળવારે(17 ફેબ્રુઆરી) રાત્રે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાની કવાયત હાથ ધરી હતી. જોકે, અન્ય મજૂરોએ મૃતકના પરિવારજનો ન આવે ત્યાં સુધી મૃતદેહ ન લઈ જવા પોલીસ સમક્ષ માંગણી કરી હતી.

આ દરમિયાન મજૂરોને ઉશ્કેરાયેલા જોઈને પોલીસ પરત ફરી હતી. તેવામાં પોલીસે મૃતદેહ લઈ જવા બળજબરી કરી હોવાની અફવા ફેલાતા કેટલાક મજૂરોએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ વાહનને આગ ચાંપી દીધી હતી.
આ પણ વાંચો: પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી
સમગ્ર ઘટનાની જાણ થતાં મુન્દ્રા, મરીન, પ્રાગપર, માનકૂવા, માંડવી, ભુજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. જેમાં પોલીસ આખી રાત કોમ્બિંગ કરીને 35 જેટલાં શખસોને રાઉન્ડ-અપ કર્યા હોવાનું સામે આવ્યું છે.
















