Surat news: સુરત મહાનગરપાલિકામાં ઓકટ્રોય નાબુદી બાદ મિલકત વેરો પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પાલિકાના મિલકત વેરાનો લક્ષ્યાંક 2559.31 કરોડનો હતો. પરંતુ વર્ષ પૂરું થવાના આશરે 38 દિવસ બાકી છે ત્યારે માંડ 1517.79 કરોડની વસુલાત થઈ શકી છે, જે કુલ લક્ષ્યાંકના માત્ર 59.30% છે. આ વર્ષે પાલિકાના કર્મચારીઓ વેરાની વસુલાત ઓછી થવા પાછળ SIRની કામગીરીનું કારણ આગળ ધરી રહ્યા છે. જો આ કારણ સાચું હોય તો પાલિકાને સરની કામગીરીના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો છે તેમ કહી શકાય. જો કે, હવે આ કામગીરી પૂરી થઈ છે અને હજુ 38 દિવસ બાકી છે ત્યારે વેરા વસુલાતની કામગીરી આક્રમક બનાવવા માટે પાલિકા દ્વારા આયોજન થઈ રહ્યું છે.
ગત વર્ષ કરતાં કામગીરી નબળી
સુરત શહેરમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પેડ FSIની આવક લક્ષ્યાંક કરતા વધુ થઈ છે, પરંતુ તેની સામે મિલકત વેરાની આવક નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઓછી રહી છે, જે પાલિકા માટે ચિંતાનો વિષય છે. પાલિકાએ વ્યાજ માફી સહિતની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી હોવા છતાં, ગત વર્ષની સરખામણીએ વેરા વસુલાતની કામગીરી નબળી જણાઈ રહી છે
SIR કામગીરીની અસરનો દાવો
મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અન્ય કર્મચારીઓની સાથે આકારણી અને વેરા વસુલાત વિભાગના સ્ટાફને પણ જોડી દેવામાં આવ્યા હતા, જેની સીધી અસર પાલિકાની આવક પર જોવા મળી રહી છે. હવે જ્યારે નાણાકીય વર્ષ પૂરું થવામાં દોઢ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવે તમામ ઝોનના એ.આર.ઓ. (A.R.O.) સાથે મહત્વની બેઠક યોજી હતી. તેમણે વેરા વસુલાતની નબળી કામગીરીને વેગ આપી, નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચવા કડક તાકીદ કરી છે.
સેન્ટ્રલ ઝોનમાં સૌથી નબળી કામગીરી
વર્તમાન આંકડાકીય સ્થિતિ મુજબ, વરાછા-એ, કતારગામ, સરથાણા, રાંદેર અને લિંબાયત ઝોનમાં 60% થી વધુ વસુલાત નોંધાઈ છે. તેની સામે કોટ વિસ્તાર ગણાતા સેન્ટ્રલ ઝોનમાં સૌથી નબળી કામગીરી (માંડ 41.50%) જોવા મળી છે. આશ્ચર્યજનક રીતે, વેરા વસુલાતમાં હંમેશા અગ્રેસર રહેતા અઠવા ઝોનમાં પણ અત્યાર સુધી માત્ર 59.62% જ કામગીરી થઈ શકી છે.
આ પણ વાંચો: સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનનું હબ
વર્ષ પૂરું થવાના આરે હવે માત્ર 38 દિવસ બાકી છે અને હજુ પણ 1041.52 કરોડની વસૂલાત બાકી છે, જે પાલિકા માટે એક મોટો પડકાર છે. પણ મ્યુનિસિપલ અધિકારીઓએ બાકીના દિવસોમાં વસુલાત ઝુંબેશને વધુ આક્રમક બનાવવાના આદેશો આપ્યા હોવાથી આગામી દિવસોમાં વેરા વસૂલાત બાબતે પાલિકા દ્વારા કડક કાર્યવાહી જોવા મળે તેવી પૂરી શક્યતા છે.
|
ઝોન |
લક્ષ્યાંક |
વસુલાત |
ટકાવારી (%) |
|
વરાછા એ |
325.31 |
226.07 |
69.49 |
|
સરથાણા |
165.53 |
108.34 |
65.45 |
|
લિંબાયત |
337.22 |
216.53 |
64.21 |
|
કતારગામ |
299.02 |
189.11 |
63.24 |
|
રાંદેર |
220.3 |
134.19 |
60.91 |
|
અઠવા |
319.33 |
190.39 |
59.62 |
|
ઉધના એ |
485.07 |
273.75 |
56.44 |
|
કનકપુર |
82.3 |
44.42 |
53.97 |
|
સેન્ટ્રલ |
325.24 |
134.98 |
41.5 |
|
કુલ |
2559.31 |
1517.79 |
59.3 |

















