– તા.26 ફેબુ્રઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન
– જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ફોન નંબર- ૦૨૬૯૨-૨૬૪૧૫૩, પર વિદ્યાર્થીઓ અને વાલીઓ સંપર્ક કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે
– વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય તો સ્ટેટ કંટ્રોલ રૂમના નંબર ૯૯૦૯૦૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨ ૨૦૫૩૮ ઉપર સંપર્ક કરી શકશે
આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાઓ આગામી તારીખ ૨૬ ફેબુ્રઆરી ૨૦૨૬થી શરૂ થશે અને ૧૮મી માર્ચના રોજ પૂર્ણ થશે. આણંદ જિલ્લામાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ દ્વારા બોર્ડની પરીક્ષા અંગે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગેરરીતિ વિહીન, શાંતિપૂર્ણ વાતાવરણમાં, આત્મવિશ્વાસથી અને નિર્ભય સાથે પરીક્ષા આપી શકે તેવું આયોજન આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
ધો.૧૦ના ૩૧૯૧૪, ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૧૪૮૯૩ અને વિજ્ઞાાન પ્રવાહના ૪૧૫૯ વિદ્યાર્થીઓ નોંધાયા ઃ વિદ્યાર્થીને લહિયાની જરૂરિયાત હશે તો તંત્ર દ્વારા વ્યવસ્થા કરાશે
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૪૦ કેન્દ્રોમાં, ૧૧૨ બિલ્ડિંગમાં, ૧૧૨૨ બ્લોકમાં ૩૧૯૧૪ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે પાંચ કેન્દ્રમાં ૨૧ બિલ્ડીંગ ઉપર ૨૧૨ બ્લોકમાં ૪૧૫૯ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૪,૮૯૩ વિદ્યાર્થીઓ ૨૧ કેન્દ્ર ખાતે ૪૫ બિલ્ડિંગમાં ૫૦૦ બ્લોકમાં કુલ મળીને ૫૦,૯૬૬ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેે. જિલ્લામાં બોર્ડની પરીક્ષા જે કેન્દ્ર બિલ્ડીંગ ક્લાસરૂમમાં લેવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત રહેશે.
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો ૨૪ કલાક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ પરીક્ષા શરૂ થવાના બે દિવસ પહેલા કાર્યરત થશે. તેવી જ રીતે આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા સવારે ૭-૦૦ કલાકથી રાત્રિના ૨૦-૦૦ કલાક સુધી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત થશે, જેનો ફોન નંબર ૦૨૬૯૨-૨૬૪૧૫૩ રહેશે તેની ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ સંપર્ક કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે.
દિવ્યાંગ ઉમેદવારો માટે જે-તે બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોગની વ્યવસ્થા કરવામાં આવશે, ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારને લહિયાની જરૂરિયાત હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતેથી નિયમો અનુસાર કાર્યવાહી કરીને મેળવી શકશે.
આ ઉપરાંત બોર્ર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય તો સ્ટેટ કંટ્રોલ રૂમના નંબર ૯૯૦૯૦૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨ ૨૦૫૩૮ ઉપર સંપર્ક કરી શકશે અને જીવન આસ્થા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૩૩૩૦ નંબર પણ સતત કાર્યરત રહેશે.
આ ઉપરાંત ગાંધીનગર બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે.
















