![]()
અમદાવાદ, ગુરુવાર
કૃષ્ણનગરમાં પતિ અને પત્ની વચ્ચે ગૃહ કલેશના કારણે પતિએ ગળામાં ચાકુના ઘા મારતાં પત્ની સારવાર હેઠળ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પિતાના મરણ પ્રસંગે પતિ-પત્ની અમદાવાદ આવ્યા હતા ત્યારબાદ પતિએ અહીયાં રહેવાની વાત કરતાં પત્નીએ રાજસ્થાના જયપુર ખાતે જવાની જીદ પકડી હતી જેથી પતિએ માર મારીને પત્ની ઉપર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો.
પત્નીએ અહીયા રહેવાની ના પાડતા પતિએ માર મારી ગળામાં ચાકુ મારતા પત્ની સિવિલમાં સારવાર હેઠળ ઃ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રાજસ્થાનના વતની અને કૃષ્ણનગરમાં રહેતા મનીષાબહેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ ૨૦૨૫માં પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ દંપતિ રાજસ્થાનના જયપુરમાં ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તા. ૭-૦૨-૨૬ના રોજ મહિલાના સસરાનું અવસાન થતા તેઓ અંતિમવિધિ માટે અમદાવાદ આવ્યા હતા.
તા.૧૭ના રોજ સવારે પતિએ ધાબા પર બોલાવી હવે કાયમ માટે અમદાવાદ જ રહેવાનું કહ્યુ હતું. જો કે ફરિયાદી મહિલાએ આપણે બન્ને જયપુરમાં સારી રીતે વેલસેટ થઇ ગયા હોવાથી ત્યાં જ નોકરી કરવાની વાત કરી હતી. જેથી પતિએ ઉશ્કેરાઇને ગાળો બોલીને માર માર્યો હતો અને પત્નીને ગળા ઉપર ચાકુ મારતા લોહી લુહાણ હાલતમાં મહિલાએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
















