PATHIK App: ભારતના વિવિધ રાજ્યમાંથી ગુનો કરીને અમદાવાદમાં ભાડુઆત, પેઇંગ ગેસ્ટ (PG) તરીકે આશરો લેતા ગુનેગારો હવે અમદાવાદ ક્રાઈમની બાજ નજરથી બચી શકશે નહીં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે UIDAI સાથે મળીને Aadhaar Enabled PATHIK (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટેલ ઈન્ફોર્મેટિક્સ) પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. હવે ગુનેગાર તત્ત્વો દસ્તાવેજોમાં ચેડાં કરીને ભાડુઆત કે પીજીમાં રહી શકશે નહીં. આ સિસ્ટમથી આવા ખોટા પુરાવા આપતા ગુનેગારો માત્ર 30 સેકન્ડની અંદર જ ઝડપાઈ જશે. આમ, અમદાવાદમાં રહેતા ભાડુઆતોની સાચી ઓળખ માટે પથિક એપ્લિકેશનનો ઉપયોગ કરાશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને UIDAIનો સંયુક્ત પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી ચાલી આવતી મેન્યુઅલ અને કાગળ પરની પ્રક્રિયાને બદલે સંપૂર્ણપણે ડિજિટલ અને ફૂલપ્રૂફ વેરિફિકેશન સિસ્ટમ આગામી સમયમાં જરૂરી હાર્ડવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ અમલમાં મૂકાશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમ અને UIDAIની ટેકનિકલ ટીમે સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જે દેશમાં આ પ્રકારની પહેલી સિસ્ટમ છે. આ સિસ્ટમથી હવે કોઈ પણ ગુનેગાર પોતાની સાચી ઓળખ છુપાવીને શહેરમાં ખોટી રીતે આશરો લઈ શકશે નહીં.
આધાર કાર્ડમાં ફોટોનો દુરુપયોગ નહીં થઈ શકે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાનુસાર, આ પ્રોજેક્ટ Consent based Aadhaar enabled guest verification માટેનો છે. તેનું પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (POC) એપ્રૂવ થઈ ગયું છે, જે આધાર એપ સાથે ઈન્ટિગ્રેટ થઈને કામ કરે છે. વર્તમાન સમયમાં ગુનેગારો ગુનો કર્યા પછી પોતાની ઓળખ છુપાવવા આધાર કાર્ડમાં ફોટો બદલીને તેનો દુરુપયોગ કરતા હોય છે. અત્યાર સુધી બેંકો, હોટેલો, ફાર્મ હાઉસ અને મકાન ભાડે આપતી વખતે આવા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થતો હતો. તેનું કારણ એ હતું કે, આ સિસ્ટમમાં ટેક્સ્ટ બેઝ્ડ વેરિફિકેશન થતું હતું. એટલે કે તેમાં ફોટો સાચો છે કે નહીં તે તપાસવાની કોઈ વ્યવસ્થા નહોતી. આનો ફાયદો ઉઠાવીને ગુનેગારો નકલી દસ્તાવેજોના આધારે મકાન ભાડે રાખીને છુપાઈ શકતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે જ પોલીસ અને પ્રજા બંનેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વેરિફિકેશન સિસ્ટમ તૈયાર કરાઈ છે.

વેરિફિકેશન પ્રક્રિયા 30 જ સેકન્ડમાં પૂર્ણ થઈ જશે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાનુસાર, આ પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી છે, જે માત્ર 30 સેકન્ડની અંદર પૂરી થઈ જાય છે. આ માટે મકાન માલિકે સૌ પ્રથમ પથિક પોર્ટલ પર પોતાની મિલકતની વિગતો અને ખુદનું વેરિફિકેશન કરાવવું પડશે. ત્યાર પછી જ્યારે પણ કોઈ ભાડુઆત મકાન જોવા કે રાખવા આવે, ત્યારે મકાન માલિક એપ્લિકેશનમાંથી એક યુનિક QR કોડ જનરેટ કરશે. બાદમાં ભાડુઆતે પોતાના મોબાઈલમાં આધાર એપ દ્વારા તે QR કોડને સ્કેન કરવાનો રહેશે. QR કોડ સ્કેન કર્યા બાદ આધાર એપમાં જ ભાડુઆતના ચહેરાનું ફેશિયલ વેરિફિકેશન થશે. અને તે સફળતાપૂર્વક થઈ ગયા પછી પથિક સોફ્ટવેરમાં આધાર દ્વારા વેરિફાઈડ ભાડુઆતનું નામ, સરનામું અને ફોટા સાથેની માહિતી આવી જશે. મકાન માલિક દ્વારા એપ્રૂવ કરતા જ તે ડેટા સેવ થઈ જશે. આ સમગ્ર પ્રક્રિયાનો લૉગ પણ તૈયાર કરાય છે, જેથી કોઈ પણ પ્રકારનો દુરુપયોગ જ ના થઈ શકે.
આ પણ વાંચો: મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
ભાડુઆતનો ગુનાઇત ઈતિહાસ પણ જાણી શકાશે
આ સિસ્ટમ લાગુ થવાથી ગુનાખોરી પર મોટો અંકુશ આવશે. આ સિસ્ટમમાં ફોટો અને ફેશિયલ રેકગ્નિશન હોવાથી કોઈ પણ વ્યક્તિ બીજાના આધાર કાર્ડ પર કે ફોટો બદલીને મકાન ભાડે રાખી શકશે નહીં. આ પ્રક્રિયા 100% પેપરલેસ છે અને ડેટા સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ હોવાથી પ્રાઇવેસી જળવાઈ રહે છે. પોલીસ પાસે આ ડેટા પહોંચતા જ તેઓ ઈ-ગુજકોપ (E-Gujcop) પ્લેટફોર્મમાં વેરિફાય કરીને ભાડુઆતનો ગુનાઇત ઇતિહાસ છે કે નહીં તે તુરંત તપાસી શકાશે. આમ ડિજિટલ વેરિફિકેશન થઈ જવાથી નાગરિકોએ રૂબરૂ પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહીં.














