![]()
વડોદરા,સયાજી હોસ્પિટલમાં સ્ટાફની ભરતી નહીં થતી હોવાના કારણે ડોક્ટરને એકાઉન્ટન્ટની કામગીરી કરવી પડી રહી છે. જે ડોક્ટર દર્દીઓની સારવાર તેમજ વહીવટી સંચાલન પણ કરે છે. તેઓને જ એકાઉન્ટન્ટની કામગીરી સોંપવામાં આવી છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં શહેર ઉપરાંત આજુબાજુના જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. ૧,૫૧૩ બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં વર્ષે અંદાજે ૯ લાખ દર્દીઓ આઉટડોર અને ૯૦ હજાર દર્દીઓ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લે છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફની મંજૂર મહેકમ વર્ષો જૂની છે. તેની સામે નવા વિભાગો અને દર્દીઓનો ઘસારો પણ વધ્યો છે. બઢતી, બદલી અને નિવૃત્તિના કારણે હાલમાં ૭૦ ટકા જગ્યાઓ ખાલી છે. જેના કારણે હોસ્પિટલને અતિ આવશ્યક અને દર્દીલક્ષી સેવોઓને ધ્યાને રાખી ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવામાં આવે છે. સમયાંતરે સરકારમાંથી મંજૂર કરાવેલી હંગામી અને આઉટ સોર્સની જગ્યાઓના દર વર્ષે કન્ટિન્યૂએશન મેળવવાના હોય છે. કેટલીક જગ્યાઓના કન્ટિન્યૂએશન ત્રણ વર્ષ કરતા વધુ સમયથી તેમજ અમુક જગ્યાઓ ૧ વર્ષ કરતા વધુ સમયથી મળ્યા નથી. હવે પરિસ્થિતિ એવી ઉપસ્થિત થઇ છે કે, જો આ જગ્યાઓનું કન્ટિન્યૂએશન ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ખાલી રહે તો તે જગ્યાઓ આપોઆપ રદ્દ થાય તેમ છે. જેના કારણે સયાજી હોસ્પિટલના સંચાલનમાં મુશ્કેલી આવી શકે તેમ છે. હાલની પરિસ્થિતિ જોઇએ તો સયાજી હોસ્પિટલમાં નર્સ, તબીબી અધિકારી, વહીવટી અધિકારી, ક્રિટિકલ કેસ કન્સલ્ટન્ટ સહિતની ૨૬૪ જગ્યાઓ એવી છે, જે જગ્યાઓનું કન્ટિન્યૂએશન૩ વર્ષથી વધુ સમયથી મળ્યું નથી. જેના કારણે આ તમામ જગ્યાઓ રદ્દ થાય તેવી હાલત છે. જો એવું થાય તો દર્દીલક્ષી સેવાઓને ગંભીર અસર પડશે.
નવા વિભાગો શરૃ થયા પણ કાયમી સ્ટાફની પૂરતી સંખ્યામાં ભરતી થતી નથી
વડોદરા,
હોસ્પિટલમાં નવા વિભાગો જેવાકે,એ.ટી.એફ. સેન્ટર, ડી.ઇ.આઇ.સી. સેન્ટર, એ.આર.ટી. સેન્ટર, ડી.ડી.આર.સી. સેન્ટર, ઇમરજન્સી મેડિકલ વોર્ડ, એન.આઇ.સી.યુ. પિડિયાટ્રિક વોર્ડ, પેલીયાટ્રીક વોર્ડ, અને ટ્રોમા સેન્ટર શર થયા છે. ટૂંક સમયમાં જ એમ.સી.એચ. હોસ્પિટલ પણ શરૃ થવાની છે. પરંતુ, તે વિભાગોમાં કાયમી ભરતી પૂરતી સંખ્યામાં કરવામાં આવી નહીં હોવાથી સ્ટાફની અછત સર્જાય છે.















