અમદાવાદ,ગુરૂવાર
શહેરના નાના ચિલોડા નોબલનગર પાસે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓએ દરોડો પાડીને એક યુવતી અને યુવકને રૂપિયા આઠ કરોડની કિંમતના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું હતું કે સુરતમાં રહેતા મિલન વઘાસિયા તેમજ અમદાવાદમાં રહેતા અરમાન જોષીના કહેવાથી બેંગકોક કેરિયર મોકલીને યુવતી અને યુવકે હાઇબ્રીડ ગાંજો મંગાવ્યો હતો.
પરંતુ, ચાર કેરિયર યુવક પૈકી એક યુવક મુંબઇમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો. અરમાન જોષી અને મિલને આ યુવકને ન છોડાવતા યુવતીએ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખ્યો હતો. એસઓજીએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે નોબલનગર-નાના ચિલોડા વિસ્તારમાં રહેતી એક યુવતી અને યુવક હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો વેચવા માટે ગ્રાહકની શોધમાં છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પી વી દેસાઇએ અલગ અલગ ટીમ બનાવીને નોબલનગર-નાના ચિલોડા રોડ પર બુધવારે રાતના સમયે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારમાં જતા યુવક યુવતીને રોકીને તપાસ કરતા હાઇબ્રીડ ગાંજાના ૨૬ જેટલા પેકેટ મળી આવ્યા હતા. જેનો વજન આશરે ૨૩ કિલો હતો. જેની કિંમત આશરે આઠ કરોડ જેટલી હતી. પોલીસે યુવતીનું નામ પુછતા જીયા ઉર્ફે જેસીકા પ્રજાપતિ (રહે. ઘનશ્યામનગર, કોતરપુર વોટર વર્કસ,નરોડા) હોવાનું અને યુવકનું નામ ચેતન પ્રજાપતિ (રહે. નાથદ્વારા, રાજસમંદ, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું.
જીયા પ્રજાપતિની વધુ પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે જીયા પ્રજાપતિ નવેમ્બર ૨૦૨૫માં બેગકોક ફરવા માટે ગઇ હતી. જ્યાં તેની મુલાકાત મુળ સુરતમાં રહેતા મિલન વઘાસિયા સાથે થઇ હતી. બાદમાં મિલને મિત્રતા કરી હતી. ગુજરાત પરત આવ્યા બાદ મિલને અમદાવાદમાં જીયાની મુલાકાત અરમાન જોષી નામના યુવક સાથે કરાવી હતી. અરમાને જીયાને બેગકોકથી હાઇબ્રીડ ગાંજા લાવવા માટેની ઓફર કરી હતી. પરંતુ, જીયાએ ગાંજો લાવવાની ના કહી હતી.
જેથી અરમાને તેને બીજી ઓફર કરી હતી કે તે બેંગકોકથી હાઇબ્રીડ ગાંજો લાવવા માટે માણસો શોધી આપે. જેના બદલામાં તેને કમિશન આપશે. જેથી જીયાએ તેના પિતરાઇ ભાઇ ચેતનની મદદથી નાથદ્વારામાં રહેતા ગોપાલ સોંલકી, ઉમેશ સોંલકી તેમજ બાંસવાડામાં રહેતા પ્રશાંત કલાલ અને ભુવનેશ બુનકરને બેંગકોક મોકલ્યા હતા. જેમાં પરત આવતા સમયે એક મહિના પહેલા ભુવનેશ મુંબઇ એરપોર્ટ પર હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો.
તેને છોડાવવા માટે જીયાએ અરમાન જોષી અને મિલનને વાત કરી હતી. પંરતુ, બંને જણા એનડીપીએસના કેસમાં ભુવનેશને છોડાવી શક્યા નહોતા. જેથી જીયાએ ગોપાલ, ઉમેશ અને પ્રશાંત પાસેથી ગાંજાનો જથ્થો લઇને પોતાની પાસે રાખીને કહ્યું હતું કે જો તે ભુવનેશને છોડાવશે તો જ ગાંજાનો જથ્થો આપશે. પરંતુ, ભુવનેશ છુટી ન શકતા જીયાએ ગાંજાનો જથ્થો વેચાણ કરવાનું નક્કી કરીને ગ્રાહકની શોધમાં હતી. જોકે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધી હતી.

















