Gandhinagar News: હાલમાં જ કેન્દ્ર સરકારે મનરેગાને બદલે વિકસિત ભારત જી રામ જી યોજના લાવી દીધી છે. જેનો ગુજરાત કોંગ્રેસે ભરપૂર વિરોધ કર્યો છે, તેનાભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મનરેગા બચાવો સંગ્રામના નેજા હેઠળ જન આક્રોશ સભા યોજાઇ હતી. જેમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર પર કોંગી નેતાઓએ આકરા પ્રહાર કર્યા હતા. વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજ્યું જેમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અગાઉથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.
’32 વર્ષથી ચાલતી સરકારને ઉખાડી ફેંકવાની છે’
આ દરમિયાન કોંગ્રેસમાં નવા જોડાયેલા પૂર્વ MLA મહેશ વસાવાએ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, ‘અમે વર્ષોથી જળ-જંગલ અને જમીન માટે સંઘર્ષ કરી રહ્યાં છે. 11 વર્ષથી કેન્દ્રમાં સરકાર ચાલે છે અને ગુજરાતમાં 32 વર્ષથી સરકાર ચાલે છે એને ઉખાડીને ફેંકી દેવાની છે, આ RSSની સરકારને કે જે સંવિધાન ખતમ કરી દેવાની વાત કરે છે એને ઉખાડી ફેંકવા છે. ઉમરગામથી અંબાજી સુધી અમને પાણી નથી મળ્યું, પણ અમારો સંઘર્ષ રહેશે. આવા ઠગ લોકોને દેશમાંથી હાંકી કાઢવાની જરૂર છે.’

‘આપણી જમીન પર સરકાર દબાણ કરે છે’
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અને યુવા નેતા અનંત પટેલે જણાવ્યું કે, ‘આજે આપણે આક્રોશમાં છીએ, આપણે અન્યાય થાય છે એના વિરોધમાં કૂચ કરવી જોઈએ, આપણને આદિવાસી વિસ્તારમાં અન્યાય થાય અને લોકોને અન્યાય થાય, અધિકારીઓ મુલાકાત નથી આપતાં, આપણા પર દમન થાય છે, આપણી જમીન પર સરકાર દબાણ કરે છે.’
આ પણ વાંચો: પાકિસ્તાનની હારથી અકળાયો શોએબ અખ્તર, લાઈવ ટીવી પર નકવીને ગણાવ્યો ‘જાહિલ’
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા હતા અને 2027ની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કરી એક સૂરે ગુજરાત સરકારનો વિરોધ કર્યો હતો.















