![]()
દુર્ગમ સ્થળે ધ્વજા ફરકાવવામાં આવ્યાના ફોટો વાયરલ : અનધિકૃત રીતે હક્ક સ્થાપિત કરવાની કોશિષ કરનારાઓ સામે પગલાં લેવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર
જૂનાગઢ, : ગિરનાર પર ઓઘડ શિખર પર જૈન સમાજના અમુક લોકોએ ધ્વજા ફરકાવી હતી અને આ અંગેના ફોટો પાડી વાયરલ કર્યા હતા, જેનો સાધુ સંતોએ વિરોધ કર્યો છે. અનધિકૃત રીતે ઓઘડનાથજીની ચરણ પાદુકા પર હક્ક સ્થાપિત કરવાની કોશિષ કરનારાઓ સામે પગલા લેવામા આવે એવી માંગ સાથે આજે શ્રી ગોરખનાથજીના દલીચાની જગ્યાના મહંત સહિતનાઓએ ડીવાયએસપી અને ભવનાથ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું.
ગિરનાર પર્વતના શ્રી ગોરખનાથ અને ગુરૂ દતાત્રેય શિખર વચ્ચે ઓઘડનાથજી શિખર આવેલું છે, જ્યાં ઓઘડનાથજીની ચરણપાદુકા આવેલી છે. આ સ્થળ રાજ્યના પુરાતત્વ વિભાગના રાજ્ય રક્ષિત સ્મારકની શ્રેણીમાં પણ સામેલ છે. આ દુર્ગમ સ્થળ પર થોડા સમય પહેલા જૈન સમાજના અમુક લોકોએ જઈ ત્યાં ધ્વજા લહેરાવી હતી અને લખાણ કર્યું હતું. એ અંગેના ફોટો સોશીયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ બાબત ધ્યાને આવતા ગોરખનાથજીના દલીચાની જગ્યાના સોમનાથજી ગુરૂ રાજનાથજી સહિતના સાધુ સંતોએ આજે ડીવાયએસપી અને ભવનાથ પી.આઈ.ને આવેદનપત્ર આપ્યું હતું.
સાધુ- સંતોનો આક્ષેપ છે કે જૈન સમાજના અમુક લોકો દ્વારા ગિરનાર પર આવેલી જગ્યાઓ પર દાવા કરવામાં આવે છે અને અશાંતિ ફેલાવવામાં આવે છે. ઓઘડનાથજી શિખર પર ધ્વજા લગાડી અમુક વાક્યો લખી અનધિકૃત હક્ક સ્થાપિત કરવા કોશિષ કરવામાં આવી છે, જેથી સનાતની લોકોની લાગણી દુભાઈ છે. આ કૃત્ય કરનારા અને તેઓને ગેરમાર્ગે દોરી જનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે. મહાશિવરાત્રી મેળા પૂર્વે જ આ બાબતે વિવાદ થતા સાધુ સંતોમાં રોષ ફેલાયો છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવે એ જરૂરી છે.
















