![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોએ ત્વચા અને નખના ફંગલ ઈન્ફેક્શનની સારવાર માટે વધારે અસરકારક અને ઓછી આડ અસર કરે તેવી દવા ચાર વર્ષની જહેમતના અંતે વિકસાવી છે.
ફેકલ્ટીની વિદ્યાર્થિની દર્શના પટેલે ફેકલ્ટીના સિનિયર અધ્યાપક ડો.હેતલ ઠક્કરના હાથ નીચે પીએચડીના ભાગરુપે આ સંશોધન હાથ ધર્યું હતું અને પીએચડીની ડિગ્રી પણ મેળવી હતી.ગાઈડ ડો.હેતલ ઠક્કરનું કહેવું છે કે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ડાયાબિટીસ હોય તેવા લોકોને કે પછી ભેજવાળા વાતાવરણમાં પણ આ ઈન્ફેક્શન થવાની શક્યતા રહેતી હોય છે.બજારમાં તેના માટે લિકવિડ અને ક્રીમ સ્વરુપે દવા ઉપલબ્ધ છે.આપણી ત્વચના ત્રણ સ્તર હોય છે.જો ફંગલ ઈન્ફેક્શન પહેલા સ્તર સુધી જ હોય તો ક્રીમ કે લિકવિડ દવાથી મટી જાય છે પણ ત્રીજા સ્તર સુધી ઈન્ફેક્શન પહોંચ્યું હોય તો ઉપરોકત દવાની સાથે ડોકટરો સામાન્ય રીતે ટેબલેટ પણ આપતા હોય છે.જોકે તેની આડઅસર પણ હોય છે.ડો.ઠક્કર કહે છે કે, અમે આ જ દવાઓને લિપિડ બેઝડ નેનો પાર્ટિકલ્સ ડિલિવરી સિસ્ટમ થકી જેલ સ્વરુપ આપ્યું છે.આ નેનો પાર્ટિકલ્સની સાઈઝ ૨૦૦ નેનો મીટર છે.જેના કારણે તે ત્વચાના છીદ્ર મારફતે ત્વચાના ત્રીજા સ્તર સુધી પણ ઉતરી શકે છે અને ગંભીર ઈન્ફેકશનના કેસમાં પણ ટેબલેટ લેવાની જરુર પડતી નથી.નખના ઈન્ફેક્શનમાં પણ ઉપરની કઠણ ત્વચાને ભેદીને દવા અંદર સુધ ીજાય છે.સરવાળે દવા ઝડપથી અસર પણ કરે છે અને આડઅસર પણ ઘટાડે છે.આ સંશોધન અમેરિકાની જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ ઈનોવેશનમાં પણ પ્રકાશિત થયું છે.












