– પાલિકાના 2007 ના ઠરાવનું અર્થઘટન બદલી
– કાર્પેટ એરિયાના નિયમને બદલે પતરાંના શેડને પણ બાંધકામ ગણી લાખોના બીલ ફટકારાયા
નડિયાદ : નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયા બાદ શહેરીજનોને સુવિધા મળવાની આશા હતી, પરંતુ તેના બદલે કરવેરાના ભારણમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા વર્ષો જૂના એક ઠરાવનું પોતાની મનમાની મુજબ અર્થઘટન કરી નાગરિકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સામાન્ય સભાના ઠરાવમાં સ્પષ્ટપણે કાર્પેટ એરિયા આધારિત ટેક્સ વસૂલવાનું નક્કી થયું હોવા છતાં અધિકારીઓએ ખુલ્લા પતરાંના શેડને પણ પાકા બાંધકામમાં ખપાવી દઈ તોતિંગ ટેક્સના બિલ પધરાવી દીધા છે.
નડિયાદ નગરપાલિકાની તત્કાલિન બોડી દ્વારા તારીખ ૨૭ જુલાઈ ૨૦૦૭ના રોજ સામાન્ય સભા મળી હતી. આ સભામાં ઠરાવ નંબર ૭૪ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, ગુજરાત સરકારના નિયમો અનુસાર કાર્પેટ એરિયા આધારિત મિલકત વેરો લાગુ કરવો. સામાન્ય રીતે કાર્પેટ એરિયા એટલે ચારે તરફથી બંધ હોય તેવું પાકું બાંધકામ ગણવામાં આવે છે. પરંતુ હાલમાં નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે આકારણી કરવામાં આવી રહી છે તેમાં આ નિયમનો સરેઆમ ભંગ થતો જોવા મળે છે. અધિકારીઓએ ૨૦૦૭ના આ જૂના ઠરાવનો આધાર ટાંકીને ખુલ્લા પ્લોટમાં માત્ર પતરાંનો શેડ હોય તેને પણ ટેક્સના દાયરામાં લાવી દીધો છે. જે જગ્યાએ દિવાલો નથી અને માત્ર છત છે તેવા ખુલ્લા શેડનું માપ પણ કાર્પેટ એરિયામાં ગણી લઈ વેપારીઓ અને મિલકતધારકોને હજારો રૂપિયાના બીલ મોકલવામાં આવ્યા છે.
તાજેતરમાં ઉત્તરસંડા રોડ પર આવેલી એક મિલકતની આકારણીમાં આ છબરડો બહાર આવ્યો છે. જેમાં કોર્પોરેશને મિલકતધારકને નોટિસ આપી જણાવ્યું છે કે, ૨૦૦૭ના ઠરાવ મુજબ તેમની મિલકતની નવેસરથી આકારણી કરવામાં આવી છે. જેમાં ખુલ્લા પ્લોટ ઉપરાંત ૨૨૮.૮૫ ચોરસ મીટરના પતરાના શેડને પણ બાંધકામ ગણી લેવામાં આવ્યું છે. આ પદ્ધતિને કારણે વેરાની રકમમાં તોતિંગ વધારો થયો છે. એક તરફ નડિયાદ નગરપાલિકાનું કોર્પોરેશનમાં રૂપાંતર થતા પહેલા જ છેલ્લા ત્રણ વર્ષમાં વેરામાં વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે કોર્પોેરેશનનું શાસન છે ત્યારે જુના ઠરાવોને સંદર્ભ બનાવીને તેમાં મનઘડત અર્થઘટન કરી પ્રજા પર આથક બોજ નાખવામાં આવી રહ્યો છે. કાયદાકીય રીતે કાર્પેટ એરિયા અને બિલ્ટઅપ એરિયા વચ્ચે તફાવત હોય છે, પરંતુ કરવેરાની આવક વધારવાની લ્હાયમાં તંત્રએ તમામ નિયમો નેવે મૂકી દીધા હોય તેવો ઘાટ સર્જાયો છે.
જૂના ઠરાવમાં શેડના ટેક્સનો ઉલ્લેખ જ નથી
નગરપાલિકાની ૨૦૦૭ની સામાન્ય સભાના ઠરાવ નંબર ૭૪ અને તેની મિટિંગ મિનિટ્સ તપાસતા તેમાં ક્યાંય પણ ખુલ્લા શેડ કે પતરાંના શેડ પર કાર્પેટ એરિયા મુજબ ટેક્સ લેવો તેવો ઉલ્લેખ જોવા મળતો નથી. ઠરાવમાં માત્ર સરકારના ધારાધોરણ મુજબ કાર્પેટ એરિયા પદ્ધતિ અમલી બનાવવી તેવું લખ્યું છે. તેમ છતાં હાલના અધિકારીઓ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી શેડને પણ પાકા મકાનની જેમ ગણી રહ્યાં છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર જણાઈ રહ્યું છે.
કોર્પોરેશન બન્યા પછી પ્રજા બેવડો માર સહન કરવા મજબૂર
નડિયાદ શહેરીજનો હાલ બેવડો માર સહન કરી રહ્યા છે. નગરપાલિકા મટીને કોર્પોરેશન બન્યા બાદ સુવિધાઓમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી, પરંતુ વેરામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ સામાન્ય વેરો હતો, ત્યારબાદ કાર્પેટ એરિયાના નામે વધારો થયો અને હવે શેડના નામે પણ વસૂલાત શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને નાના ઉદ્યોગકારો અને ગોડાઉન ધરાવતા વેપારીઓ આ નવા અર્થઘટનથી મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે તેમના મોટાભાગના સ્ટ્રક્ચર શેડ આધારિત હોય છે.
દરખાસ્તને ટેકો આપનારને જ શેડનો ટેક્સ ઝીંકાયો
સૌથી મહત્વની બાબત એ છે કે, ૨૦૦૭માં પ્રમુખ કુમાર ટહેલ્યાણીના સમયે આ ઠરાવ થયો હતો. જે-તે વખતના કાઉન્સિલર મહેશ ઈનામદારે દરખાસ્ત મુકી હતી અને વિજય નટુભાઈ પટેલે તેને ટેકો આપ્યો હતો. ત્યારે હવે મહાનગરપાલિકાએ આ ઠરાવનું અર્થઘટન કરી વિજય પટેલના જ શેડનો ટેક્સ વધારે ઝીંકી અને નોટીસ આપ્યાનું સામે આવ્યુ છે. જેથી ખુદ ઠરાવને ટેકો આપનાર જ આ અર્થઘટન મનપાએ ખોટુ કર્યું હોવાનું જણાવતા મામલો ચર્ચાના એરણે છે.
















