![]()
Naravane ‘Four Stars of Destiny’ Book Row : સંસદના બજેટ સત્રમાં ભારતના પૂર્વ થલસેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેના પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ પુસ્તકને સંસદમાં વાંચવા માંગતા હતા, પરંતુ સંરક્ષણમંત્રીએ નિયમોનો હવાલો આપીને તેમને અટકાવ્યા હતા. સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, આ પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી અને અપ્રકાશિત પુસ્તકને સંસદમાં વાંચવાનો કોઈ નિયમ નથી.
રાહુલ ગાંધીના હાથમાં અપ્રકાશિત પુસ્તક ક્યાંથી આવ્યું? તપાસ શરૂ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વિરોધના બીજા જ દિવસે રાહુલ ગાંધી આ પુસ્તક હાથમાં લઈને સંસદમાં જોવા મળ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાન મોદી સંસદમાં આવશે ત્યારે તેઓ આ પુસ્તક તેમને આપશે. બીજી તરફ, પુસ્તક છપાયું ન હોવા છતાં રાહુલ ગાંધી પાસે ક્યાંથી આવ્યું તે જાણવા માટે દિલ્હી પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી છે. પેંગ્વિન પબ્લિકેશને પણ નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે, આ પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી.
પુસ્તક અંગે જનરલ નરવણેની પ્રતિક્રિયા
વિવાદ વધતા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પેંગ્વિનના જવાબને રી-પોસ્ટ કરતા માત્ર 7 શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી કે, ‘પુસ્તકની વર્તમાન સ્થિતિ આ છે.’
જોકે નરવણેની પ્રતિક્રિયા બાદ પણ આ મામલો અટકતો દેખાતો નથી. આ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘જનરલ નરવણેનું પુસ્તક બજારમાં ઉપલબ્ધ છે. 2023માં ખુદ નરવણેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમનું પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે. કાં તો જનરલ નરવણે જૂઠું બોલી રહ્યા છે અથવા તો પબ્લિશર પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા.’
સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ
આ વિવાદને પગલે સંસદમાં વડાપ્રધાન મોદીનું સંબોધન થઈ શક્યું ન હતું. હવે વિપક્ષે રાહુલ ગાંધીને બોલતા અટકાવવા સહિતની અન્ય વાંધાજનક બાબતોને લઈને સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. હાલમાં આ પુસ્તકને લઈને ખૂબ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.















